મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર અને ભાજપના બાગી નેતા શત્રુઘ્ન સિન્હા હાલમાં પોતાના રાજનીતિક દાવપેચને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ભાજપ પાર્ટીએ તેમને લોકસભાની ટિકિટ આપી નહીં. ત્યાર બાદથી તેમના ભાજપ છોડવાની ચર્ચા થવા લાગી હતી. હવે અહેવાલ છે કે, તેઓ ટૂંકમાં જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શકે છે. આ વાતને લઈને શત્રુઘ્નની દીકરી અને એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પિતાના રાજનીતિક દાવપેચ પર મોટી વાત કહી છે.




સોનાક્ષી સિંહાએ અભિપ્રાય આપ્યો છે કે તેમણે આ નિર્ણય લેવામાં ખૂબ મોડું કરી દીધું. તેમને આ નિર્ણય પહેલાં જ લઇ લેવાની જરૂર હતી. એક ઍવૉર્ડ ફંકશનમાં સોનાક્ષીએ કહ્યું કે આ તેમની પસંદની વાત છે. મને લાગે છે કે જો તમે કયાંક ખુશ નથી તો તમારે બદલાવ લાવો જોઇએ. તેમણે પણ આ જ કર્યું. મને લાગે છે કે કોંગ્રેસ સાથે જોડાઇને તેઓ વધુ સારું કામ કરી શકશે અને અહીં પોતાના પર કોઇ દબાણ મેહસૂસ નહીં કરે.



સોનાક્ષીએ આગળ કહ્યું મારા પિતા શરૂઆતથી પાર્ટી (ભાજપ) સાથે જોડાયેલા રહ્યા. અટલજી, અડવાણીના સમયથી તેઓ તેમાં હતા. પરંતુ પાર્ટીએ તેમને એ માન-સન્માન ના આપ્યા જે તેમને મળવા જોઈતા હતા. મારું માનવું છે, તેમણે મોડું કરી દીધું. આ પહેલા કરવાની જરૂર હતી.