શ્રીદેવીનું મોતઃ પોલીસ તપાસી રહી છે કોલ ડિટેલ્સ, હોટલ સ્ટાફની પણ પૂછપરછ
શ્રીદેવીના મોતનું રહસ્ય ઉકેલવા માટેની કોશિશ કરી રહેલી પોલીસ તમામ કડીઓને ફરી એક વખત ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. બોની કપૂર સહિત તેમના રિલેટિવની પણ પૂછપરછ કરી રહી છે, જે ટૂર પર શ્રીદેવીની સાથે આવ્યા હતા. પોલીસ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું, “પોસ્ટમોર્ટમ રિપોર્ટને જોયા પછી એવા સવાલ હતા, જે પછી અમે વિચાર્યું કે અમારે આની ફરી તપાસ કરવી જોઈએ.”
મુંબઈઃ શ્રીદેવીના મોતને લઈને નવા નવા વળાંક આવી રહ્યા છે. પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો કે મોત કાર્ડિઆક અરેસ્ટ નહીં પરંતુ બાથટબમાં ડૂબવાથી મોત થયું છે. શ્રીદેવીના લોહીમાં આલ્કોહોલ હોવાની પુષ્ટી પણ થઈ. આ વચ્ચે એવા અહેવાલ મળ્યા કે દુબઈ પોલીસે હોટલ સ્ટાફની પૂછપરછ કરી છે. બાદમાં સાડા ત્રણ કલાક સુધી શ્રીદેવીના પતિ બોની કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી.
જ્યાં સુધી પોલીસની તપાસ પૂર્ણ નહીં થઈ જાય ત્યાં સુધી શ્રીદેવીનું પાર્થિવ શરીર અલ કુસૈસ મૌર્ચરીમાં જ રાખવામાં આવશે. જે રૂમમાં શ્રીદેવી રોકાઈ હતી, તેને પોલીસ પહેલા જ સીલ કરી ચૂકી છે. એક સૂત્રના જણાવ્યા મુજબ, સોમવારે પોલીસે બોની કપૂરને આ ઘટનાની ઊંડી તપાસ અને પૂછપરછ કરી છે. આ સિવાય મોહિત મારવાહના પરિવાર અને હોટલ સ્ટાફની પણ પૂછપરછ કરી છે.
દુબઈના કેટલાક સૂત્રોએ જણાવ્યું કે જો જરુર પડી, તો દુબઈ પ્રોસિક્યુશન (DPP) શ્રીદેવીના શબનું ફરી એક વખત પોસ્ટ મોર્ટમ કરી શકે છે. એવી પણ માહિતી મળી છે કે DPPની મંજૂરી વગર બોની કપૂરને દુબઈ છોડવાની મંજૂરી નથી. જોકે, પોલીસ શ્રીદેવીના ફોન કોલની ડિટેલ પણ તપાસી રહી છે.
આ સિવાય ભારતમાં શ્રીદેવીના મેડિકલ રિપોર્ટ્સને પણ તપાસવામાં આવશે. પ્રોસિક્યુટર કાર્યાલય ઈચ્છે છે કે શ્રીદેવીએ અત્યાર સુધીમાં કેવા-કેવા પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી છે અને કેવી-કેવી સર્જરી કરાવી છે, જેને આકસ્મિક મોતનું કારણ માનવામાં આવે છે.
દુબઈના નિયમો પ્રમાણે મૃત્યુનું સર્ટિફિકેટ સૌથી પહેલા અરબી ભાષામાં બનાવાય છે. આ સાથે જ અંગ્રેજી અનુવાદની કોપી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મુંબઈમાં સ્થિત કપૂર ઓફિસે આજે જણાવ્યું કે એક્ટ્રેસ શ્રીદેવીનું પાર્થિવ શરીર મંગળવારે મુંબઈ લાવવામાં આવશે.