સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં રોજ નવી-નવી વાતોનો ખુલાસો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ એક નવી માહિતી સામે આવી છે કે સુશાંત સિંહના એક્સ આસિસ્ટન્ટ અંકિત આચાર્યએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હું તેની સાથે ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે અને હું હતો ત્યાં સુધી સુશાંત ક્યારે પણ પોતાનો રૂમ અંદરથી બંધ કર્યો નથી. હું હંમેશા સુશાંત સિંહની સાથે જ રહેતો હતો. આ વાતને હું વિશ્વાસથી કહી શકું છું કે, તેમનું મર્ડર થયું છે.


એક્સ આસિસ્ટન્ટ અંકિત આચાર્યે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ઓગસ્ટ 2019માં પોતાના ગામથી પરત ફર્યો તમામ સ્ટાફ બદલાઈ ગયો હતો. જ્યારે હું તેમના ઘરે જઈ રહ્યો હતો ત્યારે સુશાંતના બોડીગાર્ડે ઘરમાં ઘૂસવા નહોતો દીધો. આ બધો સ્ટાફ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાએ બદલ્યો હતો. તેણે આવું કેમ કર્યું હતું તે મને નથી ખબર.

અંકિતે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2019માં જ્યારે તેની મુલાકાત સુશાંત સાથે થઈ તો તે બીમાર લાગતો હતો. જ્યારે હંમેશા સુશાંત સારા મુડમાં જ રહેતો હતો અને જ્યારે મેં તેમને જોયા તો તેમની આંખોની નીચે કાળા ધબ્બા પડી ગયા હતાં.

અંકિતના જણાવ્યા પ્રમાણે, રિયા હંમેશા શોપિંગ, ફૂડ અને પૂજાની સામગ્રી પર બહુ જ ખર્ચ કરતી હતી. નવા સ્ટાફે મને કહ્યું હતું કે, સુશાંતના ઘરે સતત પૂજા-પાઠ થઈ રહ્યાં છે. મને નથી ખબર કે આ બધું કયા કારણોસર થઈ રહ્યું હતું.