મુંબઈઃ બોલિવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની બાંદ્રા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે શુક્રવારે યશરાજ ફિલ્મસના બે પૂર્વ વરિષ્ઠ અધિકારીની પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યશરાજ ફિલ્મ્સમાં પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્શન રહેલા આશિષ સિંહની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સ સાથે અગાઉ કામ કરી ચુકેલા આશિષ પાટિલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. 2012માં સુશાંત સિંહ રાજપૂતના યશરાજ ફિલ્મ્સના કોન્ટ્રાક્ટ પર આ બંનેના હસ્તાક્ષર હતા.


પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે આશિષ સિંહની આશરે પાંચ કલાક પૂછપરછ થઈ અને આ દરમિયાન કોન્ટ્રાક્ટ અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું. તેમણે 2015 સુધી સુશાંત યશરાજ ફિલ્મ્સ સાથે જોડાયેલો રહ્યો હોવાનું જણાવ્યું અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. બાંદ્રા પોલીસે આષિ। પાટિલને પણ કોન્ટ્રાક્ટ અંગે સવાલ કર્યા અને સુશાંત સિંહના કામ તથા યશરાડ ફિલ્મ્સથી બહાર નીકળવા અંગે અન્ય પૂછપરછ કરી.

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે મુંબઈ પોલીસને સુશાંત સિંહ રાજપૂતના મોતનું પ્રોફેશનલ કારણ જાણવાનો આદેશ આપ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે બોલિવૂડની સૌથી મોટી પ્રોડક્શન કંપની પૈકીની એક યશરાજ ફિલ્મ્સને એક પત્ર લખીને કંપનીએ સુશાંત સિંહ સાથે સાઇન કરેલા કોન્ટ્રાક્ટની કોપી માંગી હતી.

મુંબઈ પોલીસ સુશાંતના મોતની મડાગાંઠ ઉકેલવા એક પછી એક તમામ બાબતોની તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી આત્મહત્યાને લઈ સાચું કારણ શોધી શકી નથી.