સુશાંતના પિતાએ રિયાને જ ગણાવી ખૂની, તપાસ એજન્સીઓ પાસે ઝડપથી ધરપકડની કરી માગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2020 11:52 AM (IST)
કેન્દ્રીય તપાસ એજન્સી હવે વિતેલા વર્ષથી લઈને એક્ટરના મોત સુધીના ઘટનાક્રમ વિશે જાણવા માગે છે.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એજ સીબીઆઈ તપાસનો સાતમો દિવસ છે. આ કેસમાં રૂપિયાને લઈને ઈડી પહેલાથી જ તપાસ કરી રહી છે. આ તપાસ એજન્સીઓની કાર્રવાઈની વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂતની ખૂની ગણાવી છે. પોતાના એક નિવેદનમાં સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કહ્યું કે, “રિયા ચક્રવર્તી મારા દીકરાને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. તે સુશાંતની ખૂની છે. તપાસ એજન્સીઓ તેના માટે જેટલું બને એટલું ઝડપથી રિયાની ધરપકડ કરે.” નોંધનીય છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી હવે વિતેલા વર્ષથી લઈને એક્ટરના મોત સુધીના ઘટનાક્રમ વિશે જાણવા માગે છે. જ્યારે આ હાઈ પ્રોફાઈલ કેસને લઈને અવારનવાર મીડિયામાં પણ કથિત રીતે નવા ખુલાસા અને દાવા કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ સામે આવેલ કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી નશા માટે ડ્રગ્સનો ઉપયોગ કરે છે. રિયાના વકીલે આ આરોપોને ફગાવી દીધા હતા.