Kapil Sharma Co-Star Tirthanand Rao: કોમેડી સર્કસ કે અજૂબે'માં કપિલ શર્મા સાથે કામ કરનાર અભિનેતા અને કોમેડિયન તીર્થાનંદ રાવે સોશિયલ મીડિયા પર લાઈવ સેશન દરમિયાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના સત્તાવાર ફેસબુક પેજ પર લાઈવ સેશન દરમિયાન તીર્થાનંદ રાવે આરોપ લગાવ્યો કે, તેની આ પરિસ્થિતિ માટે એક મહિલા જવાબદાર છે.


તીર્થાનંદે શા માટે કર્યો આપઘાતનો પ્રયાસ?


ફેસબુક પર લાઇવ સેશન દરમિયાન તીર્થાનંદે દાવો કર્યો હતો કે, તે મહિલા સાથે "લિવ-ઇન" સંબંધમાં હતો, પરંતુ તેણીએ કથિત રીતે તેને ઈમોશનલ બ્લેકમેલ કર્યો હતો અને તેની પાસેથી પૈસાની માંગણી કરી હતી. તીર્થાનંદે વીડિયોમાં કહ્યું હતું કે, આ મહિલાના કારણે હું 3-4 લાખ રૂપિયાનો દેવુમાં છું. હું તેને ગયા વર્ષે ઓક્ટોબરથી ઓળખું છું. તેણીએ મારી સામે ભાયંદરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને મને ખબર પણ નહોતી કે કયા કારણોસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પછી તે મને ફોન પણ કરતી અને કહેતી કે તે મળવા માંગે છે.


લાઈવ સેશન દરમિયાન તીર્થાનંદે ફિનાઈલ પીધું હતું


લાઈવ સેશન દરમિયાન પોતાની આપવિતી સંભળાવતા તીર્થાનંદે ફિનાઈલની એક બોટલ કાઢી અને તેને ગ્લાસમાં નાખીને તેને પી લીધું હતું. રાવનો વીડિયો જોઈ તેના મિત્રો તરત જ તેના ઘરે દોડી આવ્યા હતા જ્યાં અભિનેતા બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેઓએ તરત જ પોલીસને બોલાવી અને તેને હોસ્પિટલ લઈ ગયા હતાં.



તીર્થાનંદ અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે


જો કે, આ પહેલીવાર નથી જ્યારે તીર્થાનંદ રાવે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય. તીર્થાનંદે ડિસેમ્બર 2021માં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે 27 ડિસેમ્બર, 2021ના ​​રોજ ફેસબુક પર લાઇવ સેશન દરમિયાન તેના સહાયકને ફોન કર્યો હતો કે તે ઘણા કારણોસર જીવનમાં આ સખત પગલું ભરી રહ્યો છે.


ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, તીર્થાનંદે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષ ખરેખર મુશ્કેલ રહ્યા છે. મારી આર્થિક સ્થિતિ અસ્થિર છે અને મારી પાસે ખરેખર કોઈ બચત નથી. મને પાવભાજી નામની ફિલ્મ સહિત કેટલાક કામ મળ્યા છે જે હજુ રિલીઝ થવાની છે પરંતુ તેઓએ મને પૈસા ચૂકવ્યા નથી. ઘણીવાર એવા પણ દિવસો જોયા છે જ્યારે મેં કંઈ જ ખાધું ના હોય અથવા માત્ર એક વડાપાવ પર જીવ્યો હોય. મને સમજાયું કે, આ ઝંઝટમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો મારા જીવનનો અંત લાવવાનો છે.