મુંબઈ: જાણીતા ટીવી અને ફિલ્મ અભિનેતા કુશાલ પંજાબીએ શુક્રવારે સાંજે મુંબઇમાં બ્રાંદ્રા સ્થિત પોતાના ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. એક્ટર માત્ર 37 વર્ષનો જ હતો. કુશાલ પંજાબીના મોતના સમાચાર જાણ્યા પછી તેના પરિવારજનો, સગા-સંબંધિઓ અને ફેન્સમાં શોકની લહેર ફરી વળી છે.


પોલીસે આપેલી જાણકારી અનુસાર એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કુશલ પંજાબી માનસિક સમસ્યાથી પરેશાન હતા. મૃત્યુ પહેલા તેણે દોઢ પન્નાની સુસાઇડ નોટ લખી હતી. કુશલ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું કે તેમની મોત માટે કોઇ પણ જવાબદાર નથી.

ઉલ્લેખનીય છે કે સુસાઇડ નોટમાં કુશલે પોતાની તમામ પ્રોપર્ટી બે ભાગમાં બરાબર વહેંચી છે. કુશલે તેમની પ્રોપર્ટીનો 50 ટકા ભાગ તેમના માતા-પિતા અને બહેનના નામે મૂક્યો છે. જ્યારે બાકીનો 50 ટકા ભાગ પોતાના 3 વર્ષના દિકરાના નામે કર્યો છે.

કુશલ પંજાબીએ ફરહાન અખ્તરની ફિલ્મ લક્ષ્ય, કરણ જોહરની ફિલ્મ કાલ, નિખિલ અડવાણીની સલામ-એ-ઇશ્ક અને વિવેક અગ્નિહોત્રીની દે દના દન ગોલી જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આ ઉપરાંત તેને કેટલાય રિયાલિટી શૉ, વેબ શૉ, કુસુમ, ઇશ્ક મે મરજાવાં સહિતની લોકપ્રિય ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ હતુ.