ગુજરાતના મંત્રીમંડળમાં 2 દાયકા બાદ અમરેલી જિલ્લાને ન મળ્યું પ્રતિનિધિત્વ, જાણો શું છે કારણ
ગાંધીનગરઃ વિજય રૂપાણી અને તેમના નવા મંત્રીમંડળનો મંગળવારે ગાંધીનગરમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. છેલ્લાં 2 દાયકા દરમિયાન પ્રથમ વખત અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. જે પાછળનું કારણ એ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં અમરેલી જિલ્લામાંથી ભાજપના એક પણ ધારાસભ્ય સીટ જીતી શક્યા નથી. અમરેલી જિલ્લાના મંત્રીઓને મોટાભાગે કૃષિ મંત્રાલયની જ ફાળવણી કરવામાં આવતી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં અમરેલી જિલ્લાની 5 સીટો પર કોંગ્રેસે પ્રથમ વખત કબજો કર્યો છે. જે પૈકી અમેરલીથી પરેશ ધાનાણી, સાવરકુંડલાથી પ્રતાપ દૂધાત, લાઠીથી વિરજી ઠુંમર, ધારીથી જેવી કાકડિયા અને રાજુલાથી અમરિશ ડેર વિજેતા થયા છે.
2 દાયકા દરમિયાન ભાજપ સરકારમાં બેચર ભાદાણી, પુરુષોત્તમ રૂપાલા, બાવકુ ઉંધાડ, દિલીપ સંઘાણી અને વી. વી. વઘાસિયાને મંત્રીપદ ફાળવાયું હતું. બાવકુ ઉંધાડ સિવાય બાકીના તમામ મંત્રીઓએ કૃષિ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. દિલીપ સંઘાણી પાસે એકથી વધારે મંત્રાલય હતાં.