શંકરસિંહ વાઘેલા ઉપરાંત કોંગ્રેસના ક્યા 15 MLAને ખેંચી લાવવા BJP સક્રિય? જાણો કોણ કોણ અને કેમ જોડાઈ શકે BJPમાં?
કોંગ્રેસના વર્તમાન પંદર ધારાસભ્યો ઉપરાંત બીજા ત્રણ કોંગી ધારાસભ્યોને પણ ભગવો ખેસ પહેરાવવા ભાજપનું નેતૃત્વ આતુર છે, પણ એક યા બીજા કારણોસર ભાજપના પ્રયાસો નબળાં પડી રહ્યાં છે. સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષી અને ખેડબ્રહમાના અશ્વિન કોટવાલને ભાજપ ભજવો પહેરાવા તૈયાર છે. પરંતુ મતદારો મૂળે કોંગ્રેસના હોઈ આ લોકોને પોતાની તરફ ખેંચવા ભાજપ માટે અઘરું બની રહ્યું છે.
અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને બોરસદના રાજેન્દ્રસિંહ પરમારના સમીકરણો જુદાં છે. આ બંને ધારાસભ્યોને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે બોલવાના પણ સંબંધ ના હોઈ તેઓ શંકરસિંહની અતિ નજીક ગયા છે. સૂત્રો કહે છે કે, સિનિયર નેતા રામસિંહ માટે ધારાસભ્યપદ કરતાં અમૂલ ડેરીનું ચેરમેનપદ મહત્ત્વનું છે, જ્યાં બોર્ડમાં મોટાભાગના કોંગ્રેસના આગેવાનો સામેલ છે.
દહેગામના ધારાસભ્ય કામિનીબહેન રાઠોડ સાથે સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેરામણ આહિર તથા ભોળાભાઈ પટેલને પોતાની તરફ ખેંચવા ભાજપ પ્રયત્નશીલ છે. જસદણના ભોળાભાઈને કોંગ્રેસના પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાને કારણે એન્ટ્રી મળી છે. જો નેતા ભાજપમાં ભળશે તો એમના પગલે ભોળાભાઈનું પણ નક્કી માનવામા આવે છે. ખંભાળિયાના મેરામણ અને જામનગર ઉત્તરના ધર્મેન્દ્રસિંહ આમ તો કોંગ્રેસના છે, પણ શંકરસિંહ તરફ વધારે ઢળેલાં છે. ખંભાળિયામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ પોતાના પરિવારમાં ટિકિટ ફાળવણી ઈચ્છતા હોઈ મેરામણ આહિરને ખેંચવા ભાજપ માટે આસાન બની રહેશે તેમ માનવામાં આવે છે.
મૂળે ભાજપનું ગૌત્ર ધરાવતા જામનગર ગ્રામીણના રાઘવ પટેલ અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણ 1996માં બળવા વખતે શંકરસિંહ જૂથમાં સામેલ થયા હતા. રાઘવ પટેલ કોંગ્રેસથી ઘણા નારાજ છે, પણ આજની તારીખે શંકરસિંહના કહેવાથી આંધળુકિયું કરે એ વાતમાં કોઈ માલ નથી. તો માનસિંહ ચૌહાણ પણ પાકટ ઉંમરને લીધે, શંકરસિંહ તરફ એમને કુણી લાગણી હોવા છતાં પક્ષપલટો કરવાના મૂડમાં નથી.
શંકરસિંહના ધારાસભ્યપુત્ર મહેન્દ્રસિંહે વર્ષોથી ભાજપના ટોચના નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો છે, એટલે સ્વાભાવિક રીતે તેઓ હાલની સ્થિતિમાં પિતાના પગલે ચાલશે. મહેન્દ્રસિંહ બારૈયા, પી.આઈ. પટેલ તથા સી.કે.રાઉલને શંકરસિંહના કારણે ધારાસભ્ય પદ મળ્યું છે એટલે આ ત્રણે શંકરસિંહને અનુસરશે તે નક્કી છે. એમ તો દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીનને પણ શંકરસિંહને લીધે જ ટિકિટ મળેલી છે, પરંતુ તેઓ જો ભાજપમાં ભળે તો તેમનું રાજકારણ પૂરું થઈ જવાનો તેમને ડર છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર મહેન્દ્રસિંહ વાઘેલા-મેઘરજ, મહેન્દ્રસિંહ બારૈયા-પ્રાંતિજ, પ્રહલાદ પટેલ-વિજાપુર, માનસિંહ ચૌહાણ-બાલાસિનોર, રામસિંહ પરમાર-ઠાસરા, રાજેન્દ્રસિંહ પરમાર-બોરસદ, સી.કે. રાઉલ-ગોધરા, ગ્યાસુદ્દીન શેખ-દરિયાપુર, કામિનીબહેન રાઠોડ-દેહગામ, મરેામણ આહિર-ખંભાળિયા, રાધવ પટેલ-જામનગર ગ્રામીણ, હર્ષદ રિબડિયા-વિસાવદર, ધર્મેન્દ્રસિંહ જાડેજા-જામનગર ઉત્તર, ભોળાભાઈ ગોહિલ-જસદણને ભાજમાં લાવવાની તૈયારી ચાલી રહી છે.
ગાંધીનગરઃ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે માથું ઊંચકી રહ્યાં છે ત્યારે ભાજપે આ તકનો લાભ લઈ કોંગ્રેસના પંદર જેટલા ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવા માટે તખ્તો તૈયાર કર્યો છે. કોંગ્રેસના આ પંદર ધારાસભ્યો પૈકી મોટા ભાગના શંકરસિંહની નજીક ગણાય છે.