હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના 170 નેતાઓને કેમ પાઠવી નોટિસ? જાણો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતમાં તેમના જ નેતાઓ વિલન બનતાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ હાઇકમાન્ડે આવા 170 નેતાઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આક્ષેપ સાથે નોટિસ ફટકારવામાં આવી છે.
170 કોંગ્રેસી નેતા, હોદ્દેદારોને નોટિસો ફટકારાઈ છે અને 15 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે ખુદ પ્રદેશ પ્રભારી ગેહલોત જ ખુલાસાના આધારે નિર્ણય કરશે. ગુજરાતમાં કદાચ પ્રથમવાર શિક્ષાત્મક કાર્યવાહી થવા જઇ રહી છે. હાઇકમાન્ડ હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને બરોબરનો રાજકીય પાઠ ભણાવવાની તૈયારીમાં છે.
નોંધનીય છે કે, પંજાબમાં પણ ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાં 52 નેતાઓને કોંગ્રેસે ઘરનો રસ્તો દેખાડી દીધો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારામાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, જીલ્લા-શહેર પ્રમુખ, મ્યુનિ.કોર્પોરેટર, અમદાવાદ જીલ્લા કોંગ્રેસના ટોચના હોદ્દેદારો સહિતના ઘણા નેતાઓના નામો સામેલ છે.
હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં જીતમાં વિઘ્નરૂપ બનનાર કોંગ્રેસના બેવફા નેતાઓને પક્ષમાંથી પાણીચું આપવાના મૂડમાં છે. સૂત્રોના મતે, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં એન્ટીઇન્કમ્બન્સીને પગલે કોંગ્રેસને સત્તા પર આવવાની પૂરેપૂરી તક હતી, પણ ખુદ કોંગ્રેસના નેતાઓએ અંદરખાને ભાજપ સાથે હાથ મિલાવી કોંગ્રેસને સત્તા પર આવતાં અટકાવી હતી.
રાહુલ ગાંધી હવે ગુજરાતના આવા નેતાઓને રાજકીય પ્રોત્સાહન આપવાના મૂડમાં નથી. તેમણે ગુજરાતમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસની વાસ્તવિકતાને નજીકથી જોઇ લીધી છે. કોગ્રેસ હાઇકમાન્ડે પંજાબ પછી ગુજરાતમાં પક્ષની સાફસૂફી કરવા મન બનાવ્યુ છે.