ફિક્સ પગારદારોનો મામલો કેમ પાછો ઠેલાયો? ગુજરાત સરકારે કરી કેવી રમત? હવે ક્યારે થશે સુનાવણી? જાણો
ફિક્સ પગારદારોના મામલે ગુજરાત સરકાર ભીંસમાં છે. છેલ્લી સુનાવણી વખતે સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરની બેંચે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ખખડાવીને કહ્યું હતું કે, સરકાર આ કર્મચારીઓના મુદ્દે ઝડપી નિર્ણય કરે, નહીંતર અદાલત આદેશ આપશે તો રાજ્ય સરકાર ‘નાદાર’ બની જશે.
અત્યારે ફિક્સ પગારનાં પાંચ વર્ષ પ્રોબેશનનો ગાળો ગણાય પણ તેને નોકરીમાં સળંગ ગણવાની ખાતરી અપાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ફિક્સ પગારદારોને હાલમાં છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર ની ખાતરી આપશે. પ્રોબેશનનો સમય પૂરો થાય પછી તેમને સાતમા પગાર પંચનો લાભ મળે તેવી એફિડેવિટ પણ સરકાર કરશે.
ગાંધીનગરઃ સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે 10 જાન્યુઆરીએ ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓના કેસની સુનાવણી હતી પણ સુનાવણી જેની સામે થવાની હતી તે લાર્જર બેંચના જજ રજા પર હોવાથી સુનાવણી નહોતી થઈ. ગુજરાત સરકારે તેનો લાભ લઈને આ મામલે એફિડેવિટ પણ રજૂ ના કરી ફિક્સ પગારદારોને ફરી ઉલ્લુ બનાવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ ફિક્સ પગારદારોને ખાતરી આપી હતી કે સરકાર ફિક્સ પગારદારોની માગણીઓ અંગે હકારાત્મક વલણ ધરાવે છે અને 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને તેમની માગણીઓનો ઉકેલ લાવશે પણ આ ખાતરીનું સરકાર દ્વારા પાલન નહીં કરીને રમત રમાઈ છે.
સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો, પાંચ વર્ષના સમયગાળામાં ઘટાડો તેમજ પ્રોબેશનનો ગાળો નોકરીમાં સળંગ ગણવાની એફિડેવીટ સરકાર કરશે. ફિક્સ પગારદારો માટે હાલમાં પાંચ વર્ષનો સમયગાળો છે તે ઘટાડીને ત્રણ વર્ષનો કરવામાં આવશે.
ગુજરાત સરકારના છ લાખ ફિક્સ કર્મચારીઓ તેમને 10 જાન્યુઆરીએ આનંદના સમાચાર મળશે તેવી આશા રાખીને બેઠા હતા પણ આકસ્મિક સંજોગોના કારણે હવે તેમણે રાહ જોવી પડશે. ગુજરાત સરકાર હવે પછી સુપ્રીમ કોર્ટમાં એફિટેવિટ કરવાની છે તેમાં ત્રણ બાબતોની ખાતરી આપે તેવી શક્યતા છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા હવે પછી ક્યારે સુનાવણી થશે તેની તારીખ શુક્રવાર સુધીમાં અપાય તેવી શક્યતા છે. હવે પછી સુનાવણીની મુદત ઉતરાયણ પછી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયી અપાય તેવી શક્યતા છે તે જોતાં ફિક્સ પગારદારોનો મુદ્દો પાછો એક પખવાડિયા માટે ઠેલાઈ ગયો છે.
બીજી તરફ ગુજરાત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આ મુદ્દે એવું કહેવાયું હતું કે, ફિક્સ પગારદારોના મુદ્દે એફિડેવિટ તૈયાર છે પણ મંગળવારે ઉભા થયેલા સંજોગોના કારણે આ એફિડેવિટ રજૂ નહોતી કરી શકાઈ. હવે પછીની મુદતમાં આ એફિડેવિટ ચોક્કસ રજૂ કરી દેવાશે.
ફિક્સ પગારદારો વતી કેસ લડતા વકીલે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી હતી કે ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરના નિર્દેશ અનુસાર ગુજરાત સરકાર પાસેથી આ મુદ્દે એફિડેવિટ લઈ લેવાય પણ સરકારે રમત કરીને એવી રજૂઆત કરી હતી કે કેસ બોર્ડ પર જ નથી આવ્યો તે જોતાં એફિડેવિટ રજૂ કરવાનો અર્થ નથી.