'હાર્દિક પટેલ પોતાની ફોર્ચ્યુનર વેચીને પૈસા શહીદ પાટીદારોના પરિવારને આપશે', મેસેજ વાયરલ
આ મેસેજ અંગે હાર્દિક પટેલે કહ્યું કે, વાયરલ થયેલા તમામ મેસેજીસ સાવ ખોટા છે. ઈરાદાપૂર્વક કોઈએ બે ફાંટા પાડવા માટે આવું કૃત્ય કર્યું હોય તેમ લાગે છે. મારા નામે ફરતો મેસેજ અને મેં તે મેસેજનો આપેલો જવાબ બંને મેસેજ તદ્દન પાયા વિહોણા છે.
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને લઈને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. આ વાયરલ મેસેજમાં કહેવાયું હતું કે, હાર્દિક પટેલ પોતાની ફોર્ચ્યુનર કાર વેચી તેના રૂપિયા ઉપરાંત એનસીપી દ્વારા દીલીપ સાબવાને આપવામાં આવેલા 81 લાખ તેઓ શહીદોના પરિવારને આપી દેવાના છે.
બીજો વાયરલ મેસેજ એવો છે કે, ગાડી વગરના હાર્દિકનો સાથ આપશો ને ? કાર્યક્રમ હોઈ ત્યાં હવેથી તમારે મને લેવા આવવો પડશે આવશો ને? જો સરકારી બસ કે ટૂ વ્હીલર ગાડીમાં આવું તો સાથ આપશો ને? મારા ફોટા વગરના બેનરો લાગશે ખાલી સરદારના ફોટાઓ જ હશે હવે આંદોલનમાં સાથ આપશોને? મેં પહેલા પણ કહ્યું તું અને આજ પણ કહું છું જો હું ખોટો નીકળું તો મારા ઘર પર પથ્થર મારો કરજો તમને છૂટ છે.
પહેલો વાયરલ થયેલો મેસેજ એવો છે કે, હું હાર્દિક પટેલ પાટીદાર સમાજને બાહેંધરી આપવા માંગુ છું કે હું ખોટો નથી એનું ઉદાહરણ તમને પાટણના 'એક શામ શહિદ પાટીદાર આંદોલનકારી કે નામ'માં મળી રહેશે. હું મારી ફોર્ચ્યુનર ગાડી વેચી સાદાઈથી મારા ભાઈઓની ગાડીમાં ફરીશ અને તેના રૂપિયા હું, અને બોટાદ કન્વીનર દિલીપભાઈ સાબવાને NCP પક્ષ તરફથી મળેલા 81 લાખ રૂપિયા શહિદોના પરિવારને સ્ટેજ પર આપશું.
અન્ય એક વાયરલ મેસેજમાં એવું લખાયું છે કે, છેલ્લા ૨ દિવસથી અમુક લોકો મેસેજ બનાવી રહ્યા છે કે પાટણ ખાતે આયોજિત એક શામ શહીદ પાટીદાર આંદોલનકારી કે નામ કાર્યક્રમમાં હાર્દિક પોતાની ગાડી વેચી પૈસા શહિદ પાટીદાર પરિવાર ને આપશે.