હવે દારૂ પીતા પકડાયા ખેર નથી, જાણો થઈ શકે કેટલા વર્ષની જેલની સજા?
રાજ્યમાં દારુબંધીનો કાયદો કડક બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. ઠાકોર સેના સાથે થયેલા સમાધાનને પગલે રાજ્ય સરકારે દારુબંધીના કાયદાને કડક બનાવવા ગૃહ વિભાગને કામગીરી સોંપી છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઠાકોર સેનાને અમે આ બાબતે ખાતરી આપ્યા મુજબ રાજયમાં દારૂ બંધીનો કડક કાયદો બનાવાશે. જેના ભાગરૂપે કાયદો કેવી રીતે વધુ કડક બનાવી શકાય તે અંગેનું હોમવર્ક વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનો ડ્રાફટ તૈયાર થઇ જશે. જેમાં આખરી સુધારા-વધારા સાથે કાયદા વિભાગને રજૂ કરાયા બાદ આગામી વિધાનસભાના આયોજન છે.
સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે, આ કાયદા હેઠળ ગેરકાયદે દારૂ વેચાતો હોય તે વિસ્તારના ધારાસભ્ય અને ડીએસપીને પણ નોટીસની જોગવાઇ હશે. આ કાયદામાં દારૂ પીનાર પહેલીવાર પકડાય તો એક સપ્તાહની કેદની સજા થશે. બીજી અને ત્યાર બાદ પકડાય તો કેદની સજામાં વધારો કરવા સહિતની સજાની જોગવાઇ નવા કાયદામાં કરવામાં આવે તેવી શક્યતા છે.
ગાંધીનગરઃ અત્યાર સુધી હળવા કાયદાને કારણે પીનારા- ખરીદનારા-વેચનારાને છટકબારી મળી જતી હતી, પરંતુ હવે દારૂ પીનારા સામે સરકારે લાલ આંખ કરી છે. આ માટેનો મુસદો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આગામી વિધાનસભાના બજેટ સત્રમાં વિધેયક બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવા કાયદામાં ગેરકાયદે દારૂ વેચનારાઓને એકથી 10 વર્ષ સુધીની સજા અને રૂપિયા પાંચ લાખના દંડની જોગવાઇ કરવામાં આવશે. એટલું જ નહીં, ગેરકાયદે દારૂ વેચાતો હોય તે વિસ્તારના પોલીસ અધિકારીને તત્કાલ ફરજ મુક્તિની જોગવાઇ પણ આ કાયદામાં હશે.
ગુજરાત રાજ્ય મુંબઇથી અલગ થયું ત્યારથી વર્ષ ૧૯૬૦થી દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ હાલમાં દારૂ પીતા પકડાઇ જનાર સરળતાથી છકટકી શકે છે. દારૂ પીતા પકડાયેલી વ્યકિતને પહેલીવાર વોર્નિંગ આપીને છોડી દેવાય છે અને ફરી પકડાય તો તેને જામીન આપીને છોડી દેવામાં આવે છે. સરળતાથી દારૂડિયા કે દારૂ વેચનારા કાયદાની અમલવારીની છટકબારી શોધીને છટકી જતા હતાં.