6 નવેમ્બરના રોજ રૂપાણી સરકારને આ રીતે ઘેરશે અલ્પેશ ઠાકોર, એકઠા થશે પાંચ લાખ લોકો
અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમય થી વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને માનવામાં આવે છે કે આ મહાસભા આવનારી ગુજરાત વિધાનસભા 2017 ની ચૂંટણી માટેનું ટ્રેલર પણ સાબિત થાય તો નવાઈ નહિ
ગાંધીનગરઃ ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્ધારા રાજ્યમાં દારૂબંધીના કાયદાને કડક કરવાની માંગણી સાથે 6 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ લાખથી વધારે લોકો એકઠા થાય તેવી સંભાવના છે.
આ મહાસભા માટે એકતા મંચે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગરના સેક્ટર 6 માં આવેલા ગ્રાઉન્ડ પર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા 3 મહિનામાં રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં સભાઓ અને રાત્રી મિટિંગો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ મહાસભામાં એક પીડિત પરિવાર દ્ધારા ઘંટારવ કરવામાં આવશે અને જો સાંજના છ વાગ્યા સુધીમાં સરકાર કડક કાયદાનો અમલ નહીં કરે તો મૃત્યુઘંટ વગાડવામાં આવશે.
આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે, આ રેલી ઐતિહાસિક બની રહેશે. અમે છેલ્લા એક વર્ષથી દારૂબંધીના કડક કાયદાની માંગણી કરી રહ્યા છીએ. હવે, અમે સરકારને તેમના જ ઘરમાં ઘેરીશું.