ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રીલિઝ થવાને લઇને રાજપૂતોએ ભાજપ સરકારને શું આપી ચીમકી? જાણો
અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં ફાટી નીકળેલા તોફાનો મુદ્દે તેના પર આરોપો લાગ્યા છે તેવા રાજભા ઝાલાએ માંગ કરી હતી કે પોલીસે નિર્દોષ લોકોને જેલમાં પૂર્યા છે અને ખોટી કલમો લગાડી છે. સેટેલાઇટ અને વસ્ત્રાપુરના જે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે રાજપૂતો છે. આ મુદ્દે કરણીસેના સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીને મળીને રજૂઆત કરશે.
કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા ઝાલા સહિતના ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે, બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણશાલી રાજપૂત સમાજમાં ભાગલા પડાવવા માંગે છે. ફિલ્મ રીલિઝ થવા મુદ્દે કોઇ સમાધાન થયું નથી. ગુજરાતમાં ફિલ્મ રીલિઝ ન થવાની પણ માંગ છે. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા ઝાલાએ કહ્યું કે. ભાજપની બેવડી નીતિ રહી છે. ભાજપ શાસિત રાજ્યોમાં પદ્માવત ફિલ્મ પર નામ પુરતો જ પ્રતિબંધ છે જ્યારે અન્ય રાજ્યોમાં ફિલ્મ રીલિઝ કરાઇ છે. જો નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં પ્રતિબંધ મુક્યો હોત તો આ તોફાનો ના થયા હોત.
રાજપૂત આગેવાનોએ કહ્યું હતું કે, જો ભાજપને વાંધો હોય તો તરત જ કોઇ પણ ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવાય છે. જેવી રીતે ફિલ્મ ફના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પણ રાજપૂત સમાજના ઇતિહાસ સાથે ચેડા થાય તેમની લાગણી દુભાય તો કોઇ પગલા લેવાતા નથી. ભાજપ સરકારે રાજપૂત સમાજનું અપમાન કર્યુ છે. રાજ્સ્થાનમાં ભાજપને પરચો મળી ચૂક્યો છે.
ગાંધીનગરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્ધારા ફિલ્મ પદ્માવત વિરુદ્ધનો વિરોધ પાછો ખેંચાતા ગુજરાતમાં ફિલ્મ રીલિઝ થવાની ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજપૂત કરણી સેનાએ ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ આકરા તેવર બતાવ્યા હતા. કરણી સેનાએ માંગ કરી હતી કે ગુજરાતમાં કોઇ પણ ભોગે પદ્માવત ફિલ્મ રીલિઝ થવા દઇશું નહીં. કરણી સેનાએ કહ્યું કે, માત્ર ભાજપ સત્તા પર હોય તેવા રાજ્યોમાં જ નહીં દેશભરમાં મોદી સરકાર વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ મુકે. ભાજપ સરકારની બેવડી નીતિ છે. એક તરફ ગુજરાતમાં ક્ષત્રિઓની સાથે હોવાનો ડોળ કરીને ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો છે જ્યારે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં પદ્માવત ફિલ્મ રીલિઝ કરવામાં આવી છે.