હાર્દિકનું પાંચ દિવસનું અલ્ટિમેટમ, કેમ કર્યો સવાલ કે, સરકારે અમને પૂછીને કેસ કર્યા અને ગોળી મારી હતી ?
સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની આ બેઠકમાં પાટીદારોનો ઓબીસીમાં બંધારણીય રીતે કઈ રીતે સમાવેશ કરી શકાય તે અંગે ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર કાયદા વિભાગ સાથે ચર્ચા કર્યા પછી આ અંગે અંતિમ નિર્ણય લેશે તેવી જાહેરાત નીતિન પટેલે કરી છે.
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને રાજ્ય સરકાર વચ્ચે આજે પાટીદારોને અનામત આપવા સહિતના ચાર મુદ્દે ચર્ચા કરવા બીજી મીટિંગ યોજાઈ હતી ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે સરકારને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો છે કે અમને પૂછીને કેસ કર્યા અને ગોળી મારી હતી ? તેણે લખ્યું છે કે સરકાર સમાજ તોડીને સત્તા ભોગવવાનું કરી રહી છે પણ અનામત લઇને જ રહીશું. અને સમા ને ન્યાય અપાવીશું. પાસના કન્વિનરો અને ગુજરાત સરકાર વચ્ચે ગાંધીનગરમાં ગુરૂવારે બેઠક થઈ હતી.
હાર્દિકે આક્ષેપ કર્યો છે કે સરકાર સમય પસાર કરી રહી છે અને સમાજ તોડવાનું કામ કરી રહી છે જે સ્પષ્ટ દેખાય છે. તેણે લખ્યું છે કે સરકાર દ્વારા યોગ્ય જવાબ નથી આપવામાં આવતા. ફક્ત મીડિયામાં સારુંસારું બોલીને દેખાડો કરવામાં આવી રહ્યો છે.
હાર્દિકે સીધી ચીમકી આપી છે કે આવતા દિવસોમાં યોગ્ય નિરાકરણ લાવે નહિ તો હવે રોકાય એ બીજા. હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો છે કે છેલ્લા 20 વર્ષ થી સરકાર ચલાવી રહ્યા છે અને અનામત કઈ રીતે અપાય એ જનતાને પૂછે છે, ગજબ કહેવાય.
હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે આજે ગુજરાત ભાજપ સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલને આખા ભારત ના તમામ દસ્તાવેજો પુરાવાઓ પાટીદાર સમાજની કમિટી દ્વારા આપવામાં આવ્યા છે. આવતા 5 દિવસમાં સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે.