પાટીદારોને મનાવવા નરેન્દ્ર મોદી ક્યા ધાર્મિક સંપ્રદાયના કાર્યક્રમમાં આપશે હાજરી ? જાણો વિગત

સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વ્યાપક છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આ સંપ્રદાયની અસર વધારે છે તેથી મોટી તેમના કાર્યક્રમમાં હાજરી આપીને પાટીદારોનાં દિલ જીતવા પ્રયત્ન કરશે અને નારાજ પાટીદારોને ભાજપ તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે એવું મનાય છે.
ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં પાટીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અક્ષરધામના કાર્યક્રમમાં હાજરી આપીને મોદી પાટીદારો સાથેનો પોતાના ગાઢ સંબંધની યાદ તાજી કરવા માગે છે.
નરેન્દ્ર મોદીની પ્રમુખસ્વામી મહારાજ સાથેની નિકટતા જાણીતી હતી. પ્રમુખસ્વામી મહારાજના નિધન સમયે મોદી તેમને શ્રધ્ધાંજલિ આપવા સાળંગપુર પધાર્યા હતા. તેના કારણે મોદીની રજત જ્યંતિ મહોત્સવમાં હાજરીથી કોઈને આશ્ચર્ય થયું નથી પણ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપીને એક કાંકરે બે પક્ષી મારવા માગે છે તે સ્પષ્ટ છે.
ગાંધીનગરઃ ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે ત્યારે 2 નવેમ્બરના રોજ પણ મોદી ગુજરાત પધારશે. 2 નવેમ્બરે અક્ષરધામ-ગાંધીનગરનાં રજત જયંતી મહોત્સવમાં મોદી હાજર રહેશે. અક્ષરધામને 2 નવેમ્બર, 2017ના રોજ 25 વર્ષ પૂર્ણ થાય છે.
આ નિમિત્તે ગાંધીનગર ખાતે અક્ષરધામ પરિસરમાં રજતજયંતી વર્ષ ઉજવાઈ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજના પૂર્વગામી યોગીજી મહારાજે કરેલા સંકલ્પને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સન 1992માં અક્ષરધામનું સર્જન કરીને સાકાર કર્યો હતો. 2 નવેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે અક્ષરધામનું ઉદ્ઘાટન થયું હતું.