ગાંધીનગરઃ સ્વામિનારાયણ અક્ષરધામને 25 વર્ષ થયા પૂર્ણ, PM મોદીની હાજરીમાં ઉજવાશે મહોત્સવ
આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના અક્ષરધામ મંદિરના રજયજયંતિની ઉજવણીમાં હાજરી આપવા ગુજરાત આવી રહ્યા છે. બોચાસણવાસી શ્રીઅક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આ મંદિરને 25 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજીત સમારોહમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. વડાપ્રધાન સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.
આજથી 3 દિવસ માટે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. વડાપ્રધાન મોદી રાજભવનથી અક્ષરધામ જશે. બે કલાક સુધી અક્ષરધામ મંદિરના કાર્યક્રમમાં રોકાશે. બાદમાં સાંજે 8:30 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.
ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 1992માં બનીને તૈયાર થયું હતું. અક્ષરધામ મંદિર 23 એકરમાં પથરાયેલું છે. આજે અક્ષરધામને 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ગુરુ યોગીજી મહારાજે 6 ઓગસ્ટ, 1970એ હાલ જ્યાં અક્ષરધામ છે તે સ્થળે મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. દિલ્હી અક્ષરધામ પણ ગુરુજીની આજ્ઞાને અનુસરીને પ્રમુખ સ્વામીએ બનાવ્યું છે.