હવે રાજપૂતોએ પણ છેડ્યો અનામતનો મુદ્દો, 'પદ્માવતી'ના વિરોધના સંમેલનમાં શું કરાયું એલાન ?
ગાંધીનગરઃ ગઈ કાલે ગાંધીનગરના રામકથા મેદાનમાં રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. સંમેલનમાં પદ્માવતિ ફિલ્મના પ્રસારણનો વિરોધ કર્યો હતો. આ સમયે ક્ષત્રિયોએ અનામત મુદ્દે પણ પુનઃ સમીક્ષાની માંગ કરીને સંમેલનને રાજકીય રંગ આપ્યો હતો.
તેમણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સમર્થનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, અમે સાચા હોવાથી જ સંસ્કૃતિની રક્ષા અને ધર્મ રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સમર્થન આપ્યું છે. એટલું જ નહીં, ગુજરાતના બ્રહ્મ સમાજ, ચારણ સમાજ, ગઢવી સમાજે પણ ટેકો જાહેર કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજપૂતાના સન્માન જાળવવાની આ વાત છે અને મહારાણીના ચારિત્ર્યના હનનનો આ સ્વયંભૂ વિરોધ છે. રજવાડા અને જાયદાદ જતાં કર્યા છે. પરંતુ છેલ્લા 70 વર્ષથી સમાજની એકતા પર પ્રહાર કરાય રહ્યાં છે. રાજપૂત હંમેશાં દેનારા રહ્યાં છે, લેનારા નહીં. આમ છતાં કોઇ અમારી વિરાસતને ભૂલવાનો પ્રયત્ન કરશે તો સાંખી લેવાશે નહીં.
લોકેન્દ્રસિંહે કહ્યું કે રાજપૂતની બેટી અને રાજપૂતનો મત માત્ર રાજપૂતને મળશે. રાજપૂતોને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ મળે એ બાબત પર તેમણે ભાર મૂક્યો હતો. રાજપૂતના વડવાઓએ ભારત ભૂમિની રક્ષા માટે બલિદાન આપ્યાં છે. લોક્ન્દ્રસિંહે કહ્યું કે આ ગતિવિધિ પર વડાપ્ધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીની પણ નજર છે. સંમેલનને ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલ અને આઇ કે જાડેજાનું સમર્થન મળેલું છે.
સંમેલનમાં મોહન ભાગવત અને પ્રવીણ તોગડિયા સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરીને લોકેન્દ્રસિંહે દેશમાં અનામત અંગે પુન: સમીક્ષાની જરૂરિયાત હોવાની વાત કરી હતી. શ્રી કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યુ હતું કે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના બદલે જો રાજપૂત સમાજની પરીક્ષા કરવામાં આવશે, તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળશે.
તેમણે જણાવ્યું હતું કે, તમામ આગેવાનોએ ક્ષાત્રત્વ અને ઇતિહાસ સાથે ચેડા સહન નહીં કરવાનો સંમેલનમાં હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે પહેલી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે, પરંતુ રાજપૂત સમાજ એ દિવસ આવવા દેશે નહીં. આ મુદ્દે અમારી પર કોઇ રાજકીય દબાણ નથી.