રૂપાણી કેબિનેટની બેઠક શરૂ, જાણો કયા 'નારાજ' પ્રધાન રહ્યા ગેરહાજર?
આજે તેઓ કેબિનેટમાં હાજર નથી. બીજી તરફ તેમના સમર્થકો સરકારી નિવાસ સ્થાને ઉમટી પડ્યા છે. સોલંકીની નારાજગીને પગલે ગઈ કાલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમને મળ્યા હતા. તેમની સાથે મુલાકાત પછી તેઓ નારાજ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ રીતે નારાજગી જાહેર કરી દીધી હતી અને 2019માં કોળી સમાજ બતાવી દેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે રૂપાણી કેબિનેટનો પ્રારંભ થયો છે, ત્યારે ખાતાની ફાળવણીથી નારાજ કોળી નેતા અને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી આજે કેબિનેટમાં ગેરહાજર છે. સોલંકીએ ગઈ કાલે જ મુખ્યમંત્રીને મળીને પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી.
કોળી સમાજમાંથી ફક્ત મને એકને જ ખાતું આપવામાં આવ્યું છે. મને એકને જ ખાતું ફાળવાયું છે, ત્યારે સમાજને અસંતોષ છે. જો મને યોગ્ય ખાતું આપવામાં નહીં આવે તો કોળી સમાજના આગેવાનો પછી નિર્ણય લેશે. જોકે, તેઓ ખાતું પરત કરી દેશે કે કેમ તે અંગે કંઇ કહ્યું નહોતું.
તેમણે ઉમેર્યું હતું કે, મને અસંતોષ નથી, પણ અફસોસ તો થાય કે, પાંચમી ટર્મમાં જે જીત્યો છે, તેને ખાલી મત્સ્ય ઉદ્યોગ ખાતું આપવામાં આવે. એનાથી એ શું બીજાનું ભલું કરી શકે. જે પહેલીવાર જીત્યા છે, તેમને ચાર-ચાર કે પાંચ ખાતા આપવામાં આવ્યા છે. એટલે એમને થોડો અફસોસ છે.
તેમણે જણાવ્યું હતું કે, જે પાંચ પાંચ ટર્મથી જીતે છે, તેને કમસેકમ સારું ખાતું આપવું જોઇએ. તેની જગ્યાએ મને બીજું કોઈ સ્થાન આપ્યું નથી. એટલે થોડો મને સંકોચ થાય, પણ આજે તે મીટિંગમાં હું જઈ રહ્યો છું તેમની સાથે વાત કરવા. એટલે તેનો શું પ્રતિઘાત પડે છે, તે અત્યારે તો હું નહીં કહી શકું. સીએમને મળ્યા પછી શું પ્રતિઘાત પડે છે, તે ખબર પડશે.