વરૂણ પટેલનું એલાનઃ હાર્દિક જ્યાં, જે તારીખે અને સમયે સભા કરે એ જ વખતે હું ત્યાં સભા કરીશ, બીજું શું કહ્યું ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: ભાજપ સામે આક્રમક તેવર બતાવનારા તેમજ નરેન્દ્ર મોદીને ખિસ્સાકાતરૂ ગણાવનારા વરૂણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા તેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમી આવી ગઈ છે ત્યારે વરૂણ પટેલે હાર્દિક પટેલની સભાઓને સમાંતર સભાઓ કરવાનું એલાન કરતાં રાજકીય ગરમી વધી છે.
વરૂણે એવું પણ કહ્યું કે, હાર્દિકનું હાર્દિક જાણે પણ ભાજપ સરકારે આપેલા વચનો પર અમલ નહીં થાય તો હું ભાજપની સરકાર સામે ફરી બાંયો ચડાવીશ. હું ફક્ત પાટીદાર સમાજ માટે જીવું છું કોઈ પદ કે સત્તા માટે નહીં. ચૂંટણી ક્યાંથી લડવાના છો? એવા સવાલના જવાબમાં વરૂણે કહ્યું કે, એ નક્કી કરવાનું કામ પાર્ટીનું છે મારું નહીં.
હાર્દિકે આક્ષેપ કર્યો છે કે, મૃતક પાટીદારોના પરિવારને એક રૂપિયો નથી મળ્યો. આ અંગે વરૂણ પટેલે કહ્યું કે, આગામી અઠવાડિયામાં મૃતક પાટીદારોના પરિવારને આર્થિક સહાય પહોંચાડવા હું જવાનો છું. તેમને નોકરી પણ મળી જવાની છે. પોલીસ દમનની તપાસ માટે પંચ બન્યું છે. આયોગ અને નિગમની જાહેરાત થઈ ચૂકી છે.
વરૂણે એવો દાવો કર્યો છે કે, કોંગ્રેસના ભાડુતી લોકો મારાં પૂતળા બાળીને વિરોધ કરી રહ્યા છે. પાટીદાર સમાજને ખ્યાલ આવી ગયો છે કે કોંગ્રેસ તેમના મતોના જોરે સત્તા પ્રાપ્ત કરવા માંગે છે. જે લોકો મારો વિરોધ કરે તે કોંગ્રેસના લોકો છે અને પાટીદાર સમાજ તો સરકારે આપેલા ચાર મુદ્દાના સમાધાન બાદ ભાજપ સાથે છે.
વરૂણ પટેલે એલાન કર્યું છે કે, આગામી દિવસોમાં જ્યાં, જે દિવસે તથા સમયે હાર્દિક પટેલની સભાઓ હશે ત્યાં તેને સમાંતર સભાઓ હું કરીશ ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. લોકોને ખબર પડી જશે કે પાટીદાર સમાજ કોની સાથે છે અને હાર્દિક પટેલમાં પણ કેટલો દમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -