ભાવનગરઃ ટ્રક 20 ફૂટ ઊંચા પૂલ પરથી નીચે ખાબકતાં વરરાજાના માતા-પિતા સહિત 32નાં મોત
ભાવનગરઃ રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 32 લોકોનાં મોત થયા છે. જાન લઈને બોટાદના ટાટમ ગામે જઈ રહેલ ટ્રક રંઘોળા ગામ નજીક પુલ પરથી નાળામાં ખાબકતાં વરરાજાના માતા-પિતા સહિત 32 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રકમાં 60થી વધુ લોકો સવાર હતા. ત્યારે લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે.
અકસ્માત ગમખ્વાર હોવાથી અને જાનહાનિ મોટી હોવાથી ઢસા, દામનગર, વલભીપુર, શિહોરની 5થી વધુ એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. ઇજાગ્રસ્તોને ટીમબી અને શિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચીફ મિનિસ્ટર કાર્યાલય તરફથી ઘટનાની વિગતો મંગવાઈ રહી છે. સરકાર તરફથી કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ વિભાગ અને હોસ્પિટલ સત્તાવાળાઓને પણ યથા યોગ્ય અને યુદ્ધના ધોરણે મદદ કરવા માટે આદેશ અપાયો છે.
પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ટ્રકનો અકસ્માત થયા પછી અકસ્માત સર્જનાર ડ્રાઇવર લોકોની મદદ કરવાને બદલે ત્યાંથી પલાયન થઈ ગયો હતો. બીજી તરફ આ અકસ્માતને કારણે ભારે રડા-રડા અને ચીસાચીસ થઈ ગઈ હતી.
ટાટામ ગામે બે બહેનો લગ્ન હતા. એક જાન બોટાદના શિયાનગર અને બીજી જાન પાલીતાણાના અનિડા ગામેથી આવી રહી હતી. જેમાં અનિડા ગામની જાનને આ અકસ્માત નડ્યો છે. આ ઘટનાની જાણ ટાટમમાં થતાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. જોકે, અકસ્માત અંગે વરરાજાને જાણ કરવામાં આવી નથી અને સાદાઇથી લગ્નવિધિ શરૂ કરી દેવામાં આવી છે.
આ અકસ્માતમાં કુલ 32 લોકોના મોત થયા છે, જેમાં 12 પુરુષો, 10 મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ટ્રકમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ હતા, જેમાંથી માતા-પિતાનું મોત થયું છે, જ્યારે અન્યનો બચાવ થયો છે.
હાલ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. પાલિતાણાના અનીરાથી જાનનો ટ્રક બોટાદના ટાટમ ગામે જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં પગલે તંત્ર અને સ્થાનિક લોકોએ બચાવ કાર્યું શરું કર્યું હતું. 20 ફૂટ ઊંચા બ્રિજ પરથી ટ્રક નીચે પટકાતા અકસ્માતની ઘટના બની છે.
અકસ્માતના સમાચાર મળતાં આસપાસથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવકામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું અને તમામ મદદ કરવામાં આવી હતી. ભાવનગર અને બોટાદ ૧૦૮નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલનો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.