ACBનો રાજ્યમાં સપાટો, 5 સ્થળોએ દરોડા, પટાવાળા પાસેથી મળી ૧.૧૮ કરોડની સંપત્તિ
અમદાવાદઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ રાજ્યનાં જુદાં જુદાં શહેરમાં સપાટો બોલાવી દીધો છે. એસીએબીએ આવક કરાતં વધુ સંપત્તિના ત્રણ કેસ નોંધ્યા છે. એસીબીની તપાસમાં ગાંધીનગરના ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ.ના પટાવાળા પાસેથી રૂપિયા ૧.૧૮ કરોડ જેટલી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવી હતી. હાલ એસીબીએ આ અંગે તપાસ શરૂ કરી છે.
રાજ્યના જુદાં જુદાં શહેરમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યૂરોએ સપાટો બોલાવતાં ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં એસીબીએ તેઓની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજ્યના અલગ અલગ એસીબી પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારીઓ દ્વારા ગાંધીનગર, રાજકોટ તેમજ ઉપલેટામાં તપાસ શરૂ કરાઇ હતી. ગાંધીનગર જળ સંપત્તિ વિકાસ લિ.ના પટાવાળા હસમુખભાઇ રતિલાલ રાવલ પાસેથી ર૦ર ટકા જેટલી બેનામી સંપત્તિ હોવાનું બહાર આવ્યું હતું. એસીબીએ કરેલ ફરિયાદ મુજબ ૧, એપ્રિલ ર૦૦૪થી ૩૧ માર્ચ ર૦૧૬ સુધીના સમયગાળા મુજબ હસમુખભાઇએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રૂપિયા ૧.૧૮ કરોડની અપ્રમાણસરની સ્થાવર અને જંગમ મિલકત વસાવી છે.
ઉપરાંત રાજકોટના સસ્પેન્ડ પ્રિન્સિપાલ પાસેથી એસીબીને તપાસ દરમ્યાન રૂપિયા ૬૮ લાખની બેનામી સંપત્તિ મળી આવી છે. ઉપલેટાના નાયબ મામલતદાર પાસેથી પણ રૂપિયા ૪૦ લાખની બેનામી સંપત્તિ મળી આવતાં ફફડાટ ફેલાયો છે.
ઉપરાંત GSPCમાં વર્ગ-2ના અધિકારી ભરતગીરી ગોસ્વામી પાસેથી આવક કરતાં 2489 ટકા એટલે કે 11.56 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. જ્યારે હિંમતનગરના ફિલ્ડ આસિસ્ટન્ટ પી.કે. પટેલ પાસેથી 157 ટકા વધુ મિલકત મળી આવી છે.