પ્રખ્યાત ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક બંધ કરવા ફરમાન, જાણો શું છે કારણ?
આ અંગે જસદણ પ્રાંત કચેરીનાં શીરસ્તેદાર ભેસાણીયા સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, કલેકટરની સુચના મુજબ લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હતો. આ અંગે ઘેલા સોમનાથ મંદિરે કમિટીની મીટીંગમાં નિર્ણય લેવાઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ફરી જળાભિષેક શરૂ થઇ જશે.
આ અંગે ગત 8 ફેબ્રુઆરીનાં રોજ મળેલી કમિટીની મીટીંગમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જળાભિષેક થવાથી મંદિરને જે આવક થતી હતી તેનાથી અન્નક્ષેત્ર ચાલતું હતું જેથી જળાભિષેક બંધ થઇ જતા મંદિરને આવકની મોટી નુકસાની થઇ રહી છે. લિંગને જળાભિષેક બંધ કરી દેવાયો હોવાથી ભાવિકોની લાગણી પણ દુભાય રહી છે.
જસદણઃ થોડા દિવસ પહેલા જ જસદણ નજીક આવેલા પવિત્ર યાત્રાધામ ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક બંધ કરવાનો હુકમ જસદણ પ્રાંત કચેરીએ આપ્યો હતો. જેને લઈને ભાવિકોમાં ભારે નારાજગી ઉઠી હતી અને મંદિરને પણ ભારે નુકસાનની ઉઠાવવાનો વારો આવ્યો હતો.
મંદિરમાં સતત જળાભિષેકથી શિવલિંગને નુકસાન થઇ રહ્યું હોવાની રજુઆત ક્લાસવન ઓફિસર વિપીનભાઈ પંડ્યાએ સોશિયલ મીડિયા, રાજકોટ ક્લેક્ટર, સીએમથી લઇને પીએમ સુધીને કરી હતી. બનાવના પગલે જુના અખાડાના સંસદ સહિતના સંતો મહંતો લિંગનાં નિરીક્ષણ અર્થે દોડી આવ્યા હતા અને નિરીક્ષણ દરમિયાન જળાભિષેક કરવાથી લિંગને કોઈ નુકસાન થતું ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ અંગે ઘેલા સોમનાથ મંદિરનાં મેનેજર વીરગરભાઈ ગોસા એ જણાવ્યું હતું કે, જસદણ પ્રાંત કચેરીના ભેસાણીયા ભાઈનો ફોન આવ્યો હતો કે જ્યાં સુધી કલેકટરમાંથી હુકમ ન આવે ત્યાં સુધી લિંગને જળાભિષેક બંધ કરી દેવો. જેના આધારે ગત 3 ફેબ્રુઆરીથી લિંગને જળાભિષેક બંધ કરી દેવામાં આવ્યો છે.