અમદાવાદમાં તોગડિયાના ઉપવાસનું સ્થળ બદલાયું, જાણો હવે કઈ જગ્યાએ કરશે ઉપવાસ
અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદની ચૂંટણીમાં હાર બાદ પ્રવીણ તોગડિયાએ અનશન પર બેસવાની જાહેરાત કરી હતી. પહેલા તોગડિયા મંગળવારથી બત્રીસી હોલમાં ઉપવાસ પર બેસવાના હતા પરંતુ હવે સ્થળ બદલવામાં આવ્યું છે.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં તોગડિયાના સમર્થકો ઉમટી પડવાના હોવાથી જીએમડીસી ગ્રાઉન્ડમાં અનશન પર બેસવાની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે સવારે 8.45 કલાકથી પ્રવીણ તોગડિયા અનશનની શરૂઆત કરશે.
વીએચપીમાંથી પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટી બાદ દેશભરમાંથી વીએચપીના કાર્યકરો અને હોદેદારો રાજીનામાં આપી રહ્યા છે. સોમવારે આ મુદ્દે વીએચપીના કેન્દ્રીય મંત્રી મહાવીરજીએ રાજીનામું આપી દીધું હતું. મહાવીરજી છેલ્લા 40 વર્ષથી વીએચપીના પ્રચારક હતા. તેમણે વીએચપીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ સોમવારે તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય તેમજ દેશમાં બાળકીઓ પર થયેલી બળાત્કારની ઘટનાની આકરી નિંદ કરી હતી. મોદી પર પ્રહાર કરતા તોગડિયાએ કહ્યું હતું કે દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે મોદી વિદેશ પ્રવાસે નીકળ્યા છે.
તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સંસદમાં રામ મંદિર અને ગૌ હત્યા મુદ્દે કાયદો બને તેવો મારો સંકલ્પ છે. સૈનિકો અને ખેડૂતોની આત્મહત્યા પર તોગડિયાએ કહ્યું હતું કે દેશની સરહદ પર સૈનિકો સુરક્ષિત નથી અને ખેડૂતો ખેતરમાં આત્મહત્યા કરી રહ્યા છે.