વડોદરામાં PM મોદી સામે બંગડી ફેંકનાર આ મહિલાને કોંગ્રેસ આપશે ટિકિટ, જાણો વિગત
અંતે તેમને વિધાનસભા લડવાની ઓફર થઇ હોવાની પણ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જે રીતે ચંદ્રિકાબેને સરકારી નોકરીએથી રાજીનામું આપ્યું છે તે જોતા તેઓ શિક્ષણ ક્ષેત્રને ત્યાગ આપી રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યા હોવાનું લાગી રહ્યું છે તેવી ચર્ચા થઈ રહી છે.
વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કોટાલી પ્રાથમિક શાળાના શિક્ષકપદેથી ચંદ્રિકાબેન સોલંકીએ રાજીનામું આપતા રાજકિય ક્ષેત્રે મોટો સળવળાટ જોવા મળી રહ્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વડોદરામાં બંગડીઓ ફેંકનાર ચંદ્રિકાબેન આશા વર્કરોની લડીને આંદોલનને ઉગ્ર બનાવવામાં સફળ થયા હતાં.
છેલ્લા સમય દરમિયાન આશાવર્કર બહેનોને પુરતું વેતન, સમાન કામ સમાન વેતનના મુદ્દે ગુજરાતમાં જલદ આંદોલન માટે ચંદ્રિકાબેન સોલંકીનું નેતૃત્વ પ્રભાવી રહ્યું હતું. વડાપ્રધાન સામે બંગડીઓ ફેકવાની ઘટના પછી એ.આઇ.સી.સી.ના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથે તેમની અલગથી વન ટુ વન મીટિંગ પણ થઈ હતી.
આ હુકમથી અમારા આત્મ સન્માનને ઠેસ પહોંચી હતી જેથી સ્વમાન હણાતા પોતે નોકરી કરવાનું ઈચ્છતા નથી, જેથી સ્વૈચ્છિક રાજીનામું આપેલ છે. તેમણે નોકરી કરવા ઇચ્છતા ન હોઈ બે દિવસમાં રાજીનામું મંજૂર કરવા માંગણી કરી છે. ચંદ્રિકાબેનના રાજીનામાં સાથે જ તેઓ વડોદરાની વાડી બેઠક પરથી ચૂંટણી લડવાના છે તેવી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
થોડા દિવસ પહેલા જ ચંદ્રિકાબેન સોલંકીની રાહુલ ગાંધી સાથે લાંબી મીટિંગ પણ થઈ હતી ત્યાર બાદ ચંદ્રિકાબેન વડોદરાની વાડી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો હતો. જોકે 20 નવેમ્બરે તેમણે સંખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેશ જયસ્વાલને રૂબરૂ રાજીનામું આપ્યું હતું.
રાજીનામા પત્રમાં ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, તેઓ 14 જુન 2001થી કોટાલી પ્રા. શાળામાં ઉ. શિક્ષિકા તરીકે ફરજ બજાવતા આવ્યા છે પરંતુ થોડા સમયથી અંગત કારણોસર કપાત પગારની રજા પર હતા તે દરમિયાન શિક્ષણ વિભાગ તરફથી 22 ઓક્ટોબર 2017ના રોજ ફરજ મોકુફી અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ અચાનક ચંદ્રિકાબેનની ફરજ મોકુફી કરતાં અમો ખૂબ જ આઘાતની લાગણી અનુભવી રહ્યા છીએ.