કોંગ્રેસે સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પરત ખેંચ્યો, 3 MLAનું સસ્પેન્શન પણ રદ
વિધાનસભા સત્રની શરુઆતમાં જ કોંગ્રેસે સ્પીકર પર તેઓ વિપક્ષ સાથે ભેદભાવ રાખતા હોવાનો આરોપ મૂકી તેમની સામે ગણતરીના દિવસોમાં જ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. કોંગ્રેસ આ દરખાસ્ત પરત ખેંચે તે માટે સરકારે પણ પ્રયાસો શરુ કર્યા હતા. જોકે, આ દરખાસ્ત પરત ખેંચાય તે પહેલા જ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પર કથિત હુમલો કરવાના આરોપમાં અધ્યક્ષે કોંગ્રેસના ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે, કોંગ્રેસે પોતાના સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચાય તો જ પોતે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચશે તેવું જણાવ્યું હતું, પક્ષે હાઈકોર્ટમાં પણ સસ્પેન્શનને પડકાર્યો હતો.
આજે ગૃહની કામગીરી શરુ થઈ ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આખરે સર્વાનુમતે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ દરખાસ્તને પાછી ખેંચી લીધી હતી. બીજી તરફ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસના ત્રણ સસ્પેન્ડેડ ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે પણ દરખાસ્ત મૂકી છે.
વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય સાથે મારામારી કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરિશ ડેરને ત્રણ વર્ષ માટે જ્યારે, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. નીતિન પટેલે ત્રણેય કોંગ્રેસી ધારાસભ્યોનું સસ્પેન્શન ટૂંકાવી સત્રની સમાપ્તી સુધી રખાય તેવું દરખાસ્તમાં જણાવ્યું છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના સ્પીકર સામેની અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પરત ખેંચી હતી, જ્યારે કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા 3 ધારાસભ્યોને માત્ર આ સત્ર પૂરતાં જ સસ્પેન્ડ કરાયા છે. જે અંગેની દરખાસ્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં મૂકી હતી. જે બાદ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્યોને 3 વર્ષને બદલે માત્ર સત્ર સમાપ્તિ સુધી જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાન અંગે ગઇકાલથી જ બેઠકોનો દોર ચાલી રહ્યો હતો.