હાર્દિકે જેની સામે જાનથી મારી નાંખવાની ધમકીનો આક્ષેપ મૂક્યો એ ડીસીપી રાઠોડ કોણ છે?
2010ની આઈપીએસ બેંચના જયપાલસિંહ રાઠોડ રાજસ્થાનના છે અને તેમણે એમ.એસસી સુધીનો અભ્યાસ કર્યો છે.
અમદાવાદ: બે દિવસની સારવાર લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલ રવિવારે ફરીવાર ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમદાવાદ ઝોન-1ના DCP રાઠોડ કહે છે કે તને મારી નાખીશ, હવે જીવતા રાખવાનુ અને મારી નાખવાનું કામ પણ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીઓને આપી રાખ્યું છે શું? ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે બળપ્રયોગ કર્યો અને તેમના કેમેરા તોડવાનો પ્રયાસ થયો. મીડિયા સાથે જે થયું તે ખોટુ થયું છે.
નોંધનીય છે કે, હાર્દિકને ધમકી આપનાર ડીસીપી રાઠોડ આ પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે. અમદાવાદના ડીસીપી બન્યા પહેલા તેઓ મોરબીના એસપી હતા જ્યારે તેમની બદલી મોરબીથી અમદાવાદ કરવામાં આવી ત્યારે તેમના વિદાય સમારાભમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ ખુદ મંચ સુધી જઈને ચલણી નોટો ઉડાડતા જોવા મળ્યા હતા.
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ આ પ્રકારનો વ્યવહાર કરતા નથી, પણ એસપી જયપાલસિંહે ચલણી નોટો ઉડાડતા તેમનો વિડીયો વાયરલ થયો હતો, જેની ચર્ચા પણ ખૂબ થઈ હતી.