અમરેલી: કબરમાંથી લાશ કાઢવા પહોંચેલા દલીતોની પોલીસે કરી અટકાયત, બે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ
જેને પગલે સવારથી જ ડુંગરમાં પોલીસના ધાડેધાડા ખડકાયા હતાં. અહિં મહિલાઓ સહિત 100 થી વધુ લોકો કબરમાંથી આ યુવકની લાશ બહાર કાઢવા ધસી ગયા હતાં. જો કે પોલીસે તેમને તેમ કરવા નહી દઇ 66 લોકોની અટકાયત કરી લીધી હતી. અહિં દલીત સમાજે ભારે સુત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. તમામ લોકોને પીપાવાવ મરીન પોલીસ મથકે લઇ જવાયા હતાં.
અમરેલી:રાજુલાના એક ગામમાં જીજ્ઞેશ સોંદરવા નામના દલીત યુવાનની અમરેલી જીલ્લા જેલમાં હત્યા કરી હોવાના કેસમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી હતી. પરંતુ પોલીસ મુખ્ય આરોપીને છાવરતી હોવાના આક્ષેપ સાથે દલીત સમાજે આજે ડુંગર ગામે કબરમાંથી આ યુવકની લાશને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો.
જો કે પોલીસે તેમને તેમ કરતા અટકાવી 66 શખ્સોની અટકાયત કરી હતી. અહિં બે શખ્સો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરાયો હતો. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દલીત સમાજ ન્યાયની માંગ સાથે અગાઉથી જ સાતમી તારીખે અમરેલી જીલ્લા જેલમાં જેની હત્યા થઇ હતી તે જીજ્ઞેશ સોંદરવાની લાશ કબરમાંથી બહાર કાઢી કલેક્ટર કચેરી સામે તથા બાદમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ સામે રાખી દેવાની જાહેરાત કરી હતી.
અમરેલી એલસીબીએ આ અંગે ચાર દિવસ પહેલા જેલમાં જુદા જુદા હત્યા કેસમાં રહેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે ડુંગર પોલીસ, જેલ સતાવાળાઓ અને અન્ય કેદીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે દલીત સમાજે આંદોલન ચાલુ રાખ્યુ છે અને આ યુવકની લાશ કબરમાંથી બહાર કાઢવાની જાહેરાત કરાઇ હતી
જીજ્ઞેશ સોંદરવાની ગત 14મી જૂને અમરેલી જેલમાં બેફામ માર મારી હત્યા કરી નાખવામાં આવી હતી. અગાઉ જેલ સતાવાળાઓએ આંચકી આવવાથી આ યુવાનનું મોત થયાનું જાહેર કર્યુ હતું. જો કે પીએમ રીપોર્ટમાં આ યુવકનું માર મારવાના કારણે મોત થયાનું ખુલ્યુ હતું.