હાર્દિક પટેલ સામેના કેસમાં ફરિયાદી દિલીપ સાવલિયાએ હાર્દિકની તરફેણમાં શું કરી એફિડેવિટ ? જાણો સંપૂર્ણ વિગત
ઉલ્લેખનીય છે કે દિલિપ સાવલિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પાટણમાં 26 ઓગસ્ટના રોજ આયોજીત ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમ બાદ હાઇવેની નવજીવન હોટલ પર બેઠો હતો. તે દરમિયાન હાર્દિકના કાફલાએ મારી સાથે મારામારી કરી હતી.
પાટણઃ પાટણમાં મારામારી કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. હાર્દિક પટેલ અને અન્ય પાસ કાર્યક્રરોએ મારામારી કરી હોવાની ફરિયાદ દાખલ કરનારા દિલિપ સાવલિયાએ એફિડેવિટ દાખલ કરી છે. દિલિપ સાવલિયા પાટણ કોર્ટમાં વકીલ દ્વારા એફિડેવિટ દાખલ કરી છે કે આ મારામારીની ઘટનામાં હાર્દિક પટેલની કોઇ સંડોવણી નથી. મારા પર હાર્દિકે નહી પરંતુ હાર્દિકના કાફલાએ હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિલિપ સાવલિયાએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 506(2), 504,323, 427, 395, હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
તે સિવાય દિલિપ સાવલિયાએ કહ્યું કે, આ એફિડેવિટ હું કોઇના દબાણમાં કરતો નથી. હું મારી મરજીથી એફિડેવિટ કરી રહ્યો છું. એફિડેવિટમાં કરેલી તમામ વાતો સત્ય છે અને મારી જાણમાં છે.
પોતાની એફિડેવિટમાં દિલિપ સાવલિયા જણાવ્યું મારા પર હુમલો થયો ત્યારે હાર્દિક પટેલ ઘટનાસ્થળ પર હાજર નહોતો. એફઆઇઆરમાં હાર્દિક પટેલના નામનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. ઘટનામાં હાર્દિકની કોઇ સંડોવણી નથી અને તેણે મને કોઇ ધમકી પણ આપી નથી.