મોદીના કચ્છના કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના ચુસ્ત સમર્થક મૂળ ભાજપી ક્યા નેતા રહ્યા હાજર? રાજકીય અટકળો તેજ
ભાજપ સરકારના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહ પણ પહોંચ્યા હતા. હાલમાં કોંગ્રેસના નેતા એવા બાબુ મેઘજી શાહ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક છે. શંકરસિંહે ભાજપમાં બળવો કર્યો ત્યારે બાબુ મેઘજી શાહ તેમની સાથે જોડાયા હતા.
બાબુભાઈ શાહને તેઓ મોદીના સમારોહમાં આવ્યા છે તો શું ભાજપમાં જોડાવાનાછે તેવો સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે નર્મદા માટે હું હકારાત્મક વલણ ધરાવું છું, અને તેના સંદર્ભે મારો અભ્યાસ પણ છે. નર્મદા નિગમના આમંત્રણને માન આપીને હું વડાપ્રધાનના કાર્યક્રમમાં આવ્યા છું પણ ભાજપમાં જોડાયો નથી તેવી ચોખવટ કરી હતી.
હાલમાં શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડવાના છે એની અટકળો ચાલી રહી છે ત્યારે તેમના ચુસ્ત સમર્થક મનાતા મૂળ ભાજપી એવા બાબુભાઇ મોદીના કાર્યક્રમમાં જોડાતાં વાઘેલાના સમર્થકો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ શકે તેવા અહેવાલો સાચા પડી રહ્યા છે તેમ માનવામાં આવે છે.
લોધિડા (ભચાઉ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભચાઉ ખાતે સરદાર સરોવર નિગમ લિમિટેડના કચ્છના ત્રીજા અને છેલ્લા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું એ કાર્યક્રમમાં કોંગ્રેસના ટોચના નેતા બાબુ મેઘજી શાહ પણ હાજર રહેતાં રાજકીય અટકળોનું બજાર ગરમ બની ગયું છે. બાબુ મેઘજી શાહ ભાજપમાં જોડાઈ રહ્યાની ચર્ચા ફરી શરૂ થઈ છે.