અતિવૃષ્ટિમાં સપડાયેલ વિસ્તાર માટે મોદીની તાત્કાલીક 500 કરોડની સહાય, વધુ સહાય સર્વે થયા બાદ
બનાસકાંઠા: અતિવૃષ્ટિથી આફતમાં સપડાયેલા ઉત્તર ગુજરાતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. નિરિક્ષણ કર્યા બાદ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે ભારત સરકાર તરફથી ગુજરાત ડિઝાસ્ટર રીલીફ ફંડ માટે રૂપિયા ૫૦૦ કરોડની તાત્કાતલિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વિગતવાર સર્વે થયા પછી વધુ રકમની મદદ પણ કેન્દ્ર સરકાર કરશે. મૃતકને બે લાખ તથા ઈજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ભારે વરસાદ અને પૂરપ્રલયનો સામનો કરી રહ્યું છે, ત્યારે આવતીકાલ બુધવારથી જ વધુ 10 હેલિકોપ્ટર્સ બચાવ તથા રાહતની કામગીરીમાં આપવામાં આવશે અને એનડીઆરએફની ટીમ પણ વધારાશે. એમણે કહ્યું કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નુકસાનીનો અંદાજ કાઢી ઝડપથી જનજીવન રાબેતા મુજબ થાય તે પ્રકારના પગલાં ભરવા પડશે. રાજ્ય સરકારની કામગીરીની તેમણે પ્રશંસા પણ કરી હતી. અતિવૃષ્ટિ-પૂરમાં ઇજાગ્રસ્તોને રાજ્ય સરકારની સહાય ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ રૂપિયા ૫૦ હજારની સહાય અપાશે.