'એ કે લાલ દરવાજે તંબુ તાણીયારે લોલ' પ્રખ્યાત ગીતના ગાયિકા હર્ષિદાબેન રાવલનું નિધન
હર્ષિદાબેનનો જન્મ ગાયક મણિશંકર વ્યાસને ઘરે લીંબડીમાં થયો હતો. ગુજરાત કોલેજમાં તેઓ ગુજરાતના પ્રખર ગાયક અને સંગીતકાર સ્વ. રાસબિહારી દેસાઈના વિદ્યાર્થીની રહી ચૂક્યા હતા. સંગીતકાર અવિનાશ વ્યાસે હર્ષિદાબેન પાસે ગુજરાતમાં આજે પણ નવરાત્રીમાં ખૂબ પ્રખ્યાત એવા ‘એ કે લાલ દરવાજે તંબુ તાણીયારે લોલ’ નું રોકોર્ડીગ મુંબઈમાં કરાવ્યું હતું અને આ ગીત માટે તેમને શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ પણ મળ્યો હતો.
હર્ષિદાબેનના પતિ જનાર્દન રાવલ પણ જાણિતા ગાયક હતા અને તેઓ બંને રાસબિહારી દેસાઇ જેઓ જનાર્દનભાઈના મિત્ર અને હર્ષિદાબેનના ગુરુ હતા. તેમના દ્વારા પ્રથમવાર મળ્યા હતા. જીવનના પાછલા દિવસોમાં હર્ષિદાબેન ચૈતન્યપ્રભુથી પ્રભાવિત થયા હતા અને સુગમસંગીતમાંથી ભક્તિ સંગીત તરફ વળ્યા હતા. તે સમય દરમ્યાન તુલસી, મીરા, કબીર અને સુરદાસના ભજનો પણ ગાયા હતા.
પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન હર્ષિદાબેનને ગુજરાત સરકારે પાંચ વખત વિવિધ ગુજરાતી ફિલ્મો માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ખિતાબ આપ્યો હતો. “મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ”, “પિયુ મારો લીલો લજામણીનો છોડ”, “હજુ રસભર રાત તો બાકી રહી ગઈ”, “હું તો ગઈ તી મેળામાં”, “મારો સોનાનો ઘડુલીયો રે”, અને “ગોરમાને પાંચે આંગળીઓ પૂજ્યા” હર્ષિદાબેનના ખૂબજ લોક પ્રિય ગીતો રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતી સુગમ સંગીત તેમજ ભક્તિ સંગિતના જાણિતા ગાયિકા હર્ષિદાબેન રાવલનું દુ:ખદ અવસાન થયું છે. હર્ષિદાબેન અને જનાર્દન રાવલની ગુજરાતના સંગીત રસિકોમાં તેમના ગીત “કેવા રે મળેલા મનના મેળ” ઓળખ હતી. આ ગીત તેમણે સૌપ્રથમ શ્રુતિ સંસ્થાના કાર્યક્રમમાં ગાયું હતું અને ત્યાર પછી આ ગીત ગુજરાતી ફિલ્મ “કાશીનો દિકરો” માટે પસંદ થયું હતું અને તેમના કંઠે તે ફિલ્મમાં સાંભળવા મળ્યું હતું.