આણંદ: બે ટ્રક-કાર વચ્ચેના અકસ્માતમાં 4નાં મોત, પતરાં કાપી મૃતદેહ કઢાયા બહાર

આણંદ: તારાપુરમાં કસ્બારા ગામની સીમ સ્થિત તારાપુર-વટામણ હાઈવે પર રવિવારે બપોરે સર્જાયેલા બે ટ્રક અને એક કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર બે મહિલા અને બે પુરૂષો સહિત ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. આ ટ્રીપલ અકસ્માતને પગલે તારાપુર-વટામણ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ તારાપુર પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર મહારાષ્ટ્ર પાસીંગની હતી. જ્યારે મૃતક અને ઈજાગ્રસ્ત મહિલા સૌરાષ્ટ્રના વતની હતા. અને તેઓ સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ જતા હતા. વર્ષોથી મુંબઈ સ્થાયી થયા છે.
ઉલ્લેખનીય છે કે, મૃતકો કારમાં એ રીતે ફસાયા હતા કે, કારના પતરાં કાપીને તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઓપરેશન દોઢથી બે કલાક ચાલ્યું હતું જેને કારણે ટ્રાફિક જામ થયો હતો.
આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા તેઓ તેમજ પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત મહિલા રમાબેનને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આણંદ જિલ્લામાં આવેલો તારાપુર-વટામણ હાઈવે છેલ્લાં કેટલાંય સમયથી કાળમુખો બનતો જાય છે. તારાપુર-વટામણ હાઈવે પર રવિવારે બપોરે સાડા ત્રણ કલાકે આવો જ એક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સામસામે ભટકાયેલી ટ્રક વચ્ચે એક કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં કુલ ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત કુલ પાંચ વ્યક્તિ સવાર હતી. જેમાં બે મહિલા અને બે પુરૂષને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી.