નીમાબેન આચાર્ય સહિત ભાજપના બે નેતા સાથે હાર્દિક પટેલના ‘પાસ’ના સાથી પનારાને પણ કેમ થઈ એક વર્ષની કેદ? જાણો વિગત
અમદાવાદ: 2009ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આચાર સંહિતાનો ભંગ કર્યો હતો આ કેસમાં સોમવારે કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. આ સમગ્ર ઘટના ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. ડો.નીમાબહેન આચાર્ય સહિત ભાજપના બે નેતા અને હાર્દિક પટેલના પાસના સાથી મનોજ પનારાને પણ સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટના શું છે તેની પર એક નજર કરીએ.
આ ચકચારી કેસમાં વકીલ આર.એ.ગોરીની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 171(બ) મુજબ આજ સંભળાવી રાજકીય હોદ્દેદારોને બોધપાઠરૂપ કડક ચુકાદો આપ્યો હતો.
આ અંગેનો કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.જી.દામોદ્રાની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આચારસંહિતા ભંગ મામલે વીડિયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલિન ધારાસભ્ય નીમાબહેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને ભાજપના પૂર્વ આગેવાન અને હાલના પાસના અગ્રણી મનોજ પનારાને એક-એક વર્ષની કેદ અને એક હજારના દંડની સજા ફટકારી હતી.
જેથી આ બાબતે બન્ને તત્કાલિન ધારાસભ્ય અને ભાજપના તત્કાલિન યુવા મોરચાના અગ્રણી અને સભાના આયોજક મનોજ પનારા વિરુદ્ધ તે સમયે સભામાં મતદારો અને કાર્યકર્તાને લલચાવે ફોસલાવે તેવાં નિવેદન કરવા બદલ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી.
તત્કાલિન ધારાસભ્ય અમૃતિયાએ મોરબીમાં જે વિસ્તાર વધુ મત આપે તે કાર્યકરોને 1.51 લાખ અને તત્કાલિન અંજારના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય તેમના વિસ્તારમાં ભાજપને વધુ મતો આપનાર વિસ્તારને 5 લાખની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ, 18-3-2009ના રોજ ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ નજીક મોડર્ન હોલમાં કચ્છના ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માતે નૂતન મતદાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં અંજારના ધારાસભ્ય ડો.નીમાબહેન આચાર્ય, તત્કાલિન મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મતદારોને અને કાર્યકરોને વધુ મત આપવા માટે રોકડ ઈનામ અને ગ્રાન્ટ ફાળવણીની લાલચ આપી હતી.
તેમની સાથે તત્કાલીન જાહેરસભામાં આવા જ વચનો આપનારા ભાજપના મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને હાલ પાસના કન્વીનર મનોજ પનારાને પણ એક વર્ષની સજા થઈ છે. જોકે કોર્ટ ત્રણેય આરોપીઓને ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે જામીન પર મુક્ત કર્યા હતાં.
ગુજરાત વિધાનસભાના હાલના પ્રોટેમ સ્પીકર ડો.નીમાબહેન આચાર્ય લોકસભાની 2009ની ચૂંટણીના પ્રચાર દરમિયાન જે વિસ્તારના લોકો ભાજપને વધુ મત આપે તે વિસ્તારને વધુ ગ્રાન્ટ ફાળવવાનું જાહેરમાં વચન આપ ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કર્યા કેસમાં કસૂરવાર ઠેરવાતાં તેમને એક વર્ષની સજા ફરમાવવામાં આવી છે.