કૉંગ્રેસે બિન અનામત વર્ગને 20 ટકા આર્થિક અનામત આપવાની માંગ કરી, જાણો વિગતે
કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું આર્થિક અનામત આપવા સર્વે કરવો પડે તો કરવો જોઈએ અને 20 ટકા આર્થિક અનામત માટે અલગ બજેટ ફાળવવુ હોય તો પણ અમે તૈયાર છીએ.
બિન અનામત વર્ગમા આવતા સમાજો જેમાં ખાસ કરીને પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત, વણિક હોય કે અન્ય સમાજ હોય એ સમાજના યુવા વર્ગની જે માંગણીઓ છે કે નોકરી અને શિક્ષણમાં તેમને અનામત મળવી જોઈએ એ વાતને પણ કૉંગ્રેસ પક્ષ તરફથી સર્મથન આપી એમના માટે બિનઅનામત વર્ગને 20 ટકા અનામત આપવા માટેની પણ રજૂઆત આજે ગૃહમાં કરવામાં આવી છે.
ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું ગુજરાતની 52 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજને ભારતીય જનતા પાર્ટી તરફથી વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. એના બજેટની ફાળવણીની સામે ખર્ચમાં સતત ધટાડો થતો આવ્યો છે. 52 ટકા વસતી સામે 1 ટકા કરતા પણ ઓછી રકમની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સાથે સાથે ગુજરાતમાં ઓબીસી સમાજના ઉત્કર્ષ માટે રાજ્ય સરકારમાં અલગથી વિભાગ બનાવી ઓબીસી સમાજના કોઈ મંત્રીને વિભાગની જવાબદારી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ગાંધીનગર: આંકલાવથી કૉંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં દંડક અમિત ચાવડાએ વિધાનસભામાં બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માંગ કરી છે. ધારસભ્ય અમિત ચાવડાએ માંગ કરી છે કે બિન અનામત વર્ગ માટે સરકારી નોકરી અને અભ્યાસ દરમિયાન 20 આર્થિક અનામત લાવવી જોઈએ.