20 ઈંચ વરસાદથી ગીરગઢડા-ઉના પાણી જ પાણી, જુઓ આ રહ્યા વરસાદના આંકડા
સરસ્વતી અને કરકરી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીઓમાં પુરને પગલે તાલાલા-ઉના સ્ટેટ હાઇવે ઉપર માધુપુર-જાંબુર વચ્ચે રોડ પર સરસ્વતી નદીના પુરના પાણી ફરી વળ્યા હતા.
ગીર જંગલ અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારે સાંબેલાધારે વરસાદ પડ્યો હતો. સવારમાં જ આંકોલવાડી, રસુલપરા, વાડલા, બામણાસા, સહિતનાં ગામોમાં સવારે 3 કલાકમાં 7 ઇંચતી વધુ વરસાદ ખાબક્યો હતો.
ઉના કન્યા વિદ્યાલયનાં 40 છાત્રો સીલોજ પાસે ફસાઇ જતાં ઊના પાલિકા પ્રમુખે તમામ છાત્રોને પોતાનાં ઘરે લાવી બાદમાં વાહનની વ્યવસ્થા કરી પહોચાડ્યાં હતાં. ઉના શહેરને જોડતા માર્ગો બંધ થઇ ગયા હતાં. ભારે વરસાદનાં પગલે શાળા, કોલેજ, બેંકોમાં રજા પાડી દેવામાં આવી હતી.
ગીર-સોમનાથ જિલ્લાનાં નાધેર પંથકમાં સોમવારે સતત છ કલાક પાણી વરસાવતા ઊના, ગીરગઢડા અને બન્ને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતાં. રાત્રી દરમિયાન 2.5 ઇંચ પાણી પડ્યું હતું અને નાઘેર પંથકમાં 12 કલાકમાં 20 ઇંચ પાણી વરસતા તબાહી જેવી સ્થિતી સર્જાઈ હતી.
જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી પંથકની અનેક નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. બીજી બાજુ પીવાનું પાણી પૂરું પાડતા ડેમોમાં પાણી ધીંગી આવક થઈ હતી. રાત્રિના 11 વાગ્યા સુધીમાં ગીરથી પોરબંદર સુધી અને અમરેલીથી ઊના સુધી અનેક સ્થળે તારાજી થયાના પણ અહેવાલ મળ્યા હતાં.
છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ગીરગઢડામાં 20 ઈંચ, ઉનામાં 18 ઈંચ, કોડીનારમાં 14 ઈંચ, જાફરાબાદમાં 12 ઈંચ, સુત્રાપાડામાં 11 ઈંચ, ધરમપુરમાં 9 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, વગાઈ-પારડી-ખેરગામમાં 8 ઈંચ અને રાજકોટમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર જગ્યા પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે તો ગીરગઢડા, ઉના સહિતના વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
ગીરગઢડા: મેઘરાજાએ ઉના અને ગીરગઢડાને સોમવારે રિતસરને ધમરોળી નાખ્યું હતું. 12 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર ગીરગઢડામાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જ્યારે સ્ટેટ હાઈ-વે સહિત અને રસ્તા બંધ થઈ ગયા હતા. ગામડાં સંપર્ક વિહોણા થયા હતા તો કેટલાક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી અનેક લોકોને બચાવ્યા હતા.