હાર્દિક પટેલ 14મીથી કાઢશે 3 દિવસની સંકલ્પ યાત્રા, હજારો પાટીદારોને શું લેવડાવશે સંકલ્પ? જાણો વિગત
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી એક વાર પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે હાર્દિક પટેલ 14 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની સંકલ્પ યાત્રા કાઢશે. 14 સપ્ટેમ્બરે અમદાવાદથી નિકનારી આ સંકલ્પ યાત્રા 16 સપ્ટેમ્બરે લોમનાથ પહોંચશે.
હાર્દિક પટેલે આ સંકલ્પ યાત્રામાં ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પને મુખ્ય ઉદ્દેશ ગણાવ્યો છે. 16 સપ્ટેમ્બરે સોમનાથમાં યાત્રાનું સમાપન થાય ત્યારે હજારો પાટીદારો સાથે મળીને હાર્દિક પટેલ ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પ લેશે. સમગ્ર ગુજરાતના પાટીદારોને પણ ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પ લેવા આહ્વાન કરાશે.
હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર આ સંકપ્લ યાત્રા વિશે લખ્યું છે. ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પને પાર પાડવા નિકળનારી આ યાત્રામાં જોડાવા માટે પાટીદારોને હાકલ કરાઈ છે અને સંકલ્પ યાત્રામાં જોડાવા માટે નોંધણી કરવા કહેવાયું છે. નોંધણી કરાવવા માટે રાહુલ પટેલ અને નરેશભાઈ દાનકરના નંબર પણ અપાયા છે.
આ ફેસબુક પોસ્ટમાં એક મોબાઈલ ફોન નંબર આપીને અપીલ કરાઈ છે કે, પાટીદાર સમાજના હિત અને ગુજરાતની અસ્મિતાની લડાઈમાં જોડાવા માટે મિસ કોલ કરો. હાર્દિકની આ સંકલ્પ યાત્રાના મુખ્ય ઈન્ચાર્જ તરીકે દિનેશભાઈ બાંભમીયાની નિમણૂક કરાઈ છે. દિનેશબાઈ બાંભણીયાનો ફોન નબંર પણ આ પોસ્ટમાં અપાયો છે.
આ ઉપરાંત આ યાત્રામાં ત્રણ દિવસ માટે પાંચ અલગ અલગ ઈન્ચાર્જ પણ નિમાયા છે. 14 સપ્ટેમ્બરના રોજ ઈન્ચાર્જ તરીકે કિરણભાઈ પટેલ અને મનોજભાઈ પનારા, 15 સપ્ટેમ્બરના ઈન્ચાર્જ તરીકે લલિતભાઈ વસોયા અને અમિત પટલ તથા 16 સપ્ટેમ્બરના ઈન્ચાર્જ તરીકે બકુલભાઈ પટેલની નિમણૂક કરાઈ છે.