હાર્દિક પટેલે કોંગ્રેસને શું આપી ચેતવણી? અમિત શાહ-નરેન્દ્ર મોદી અંગે શું કહ્યું? જાણો વિગત
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે કોંગ્રેસને ચેતવણી આપી છે કે કોંગ્રેસ સત્તામાં આવે અને અમને અનામત નહીં આપે તો હું તેમની સામે પણ લડીશ. હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે, મે કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નથી કર્યું. મારો એક જ પોઈન્ટનો એજન્ડા છે કે ગમે તે ભોગે ભાજપને હરાવવું.
હાર્દિકે જણાવ્યું કે, અમને કોઈ ઉપકાર નથી જોઈતો, અમે તો ન્યાયની માગણી કરી રહ્યા છે. ફકત થોડા પટેલો પૈસાદાર હોય તેનો મતલબ એવો નથી કે બધા પટેલો પૈસાદાર છે. મોટા ભાગના પટેલોએ તેમની જમીન ગુમાવી છે અને વળતરમાં તેમને કશું જ મળ્યું નથી.
ભાજપ કહે છે કે આ ચૂંટણીમાં તેમના માટે વિકાસ મુદ્દો છે પણ એક-બે બ્રિજ બનાવી દેવાથી વિકાસ નથી થતો. શહેરોની બહાર ગામડાંમાં જાવ અને ખેડૂતોને મળો પછી મને કહો કે કયાં વિકાસ છે. મોદી અને અમિત શાહ અંગે કહ્યું કે, ગુજરાતનું શાસન સરમુખત્યારશાહીથી ચલાવે છે તેની સામે અમારી લડાઈ છે.
નાનાં ગામોમાં હજારો લોકો મને મળવા આવે છે. તેમની જમીનો આંચકી લેવામાં આવી છે તેનો તેમનામાં ગુસ્સો છે. હાર્દિકે જણાવ્યું કે, મારુ આંદોલન લોકો માટે છે. બેરોજગારી-ગરીબીમાંથી આઝાદી માટે છે. સત્તાધારીઓ તરફથી તેમના પર થતા અત્યાચાર અંગે લોકોના અધિકારની આ લડાઈ છે. અમારી હાર લોકોની હાર હશે.
એક રાષ્ટ્રીય અખબારને આપેલી મુલાકાતમાં હાર્દિકે દાવો કર્યો કે, હું ગુજરાત અને પટેલો માટે પ્રચારસભા કરું છું. હું પોતે કોઈ ચૂંટણી લડી નથી રહ્યો અને કોઈ પાર્ટી માટે વોટ પણ નથી માગી રહ્યો. સમગ્ર સમાજ મારી સાથે છે. યુવાનો અને વૃદ્ઘો બધા જ મારી સાથે છે. લોકોને મારામાં વિશ્વાસ છે તેથી લોકો મારી પાસે આવે છે.
હાર્દિકને સવાલ પૂછાયો હતો કે, સાધનસંપન્ન પટેલ સમાજને રીઝર્વેશનની જરૂર છે ખરી? હાર્દિકે તેના જવાબમાં કહ્યું કે, અમે અમારો હક્ક માગીએ છીએ. મારા પટેલ ભાઈઓને કોલેજમાં પ્લેસમેન્ટ નથી મળતું, તેમને નોકરીઓ નથી મળતી તો પછી શા માટે અમે અનામતની માગણી ન કરીએ?
પોતાની સેકસ સીડી અંગે હાર્દિકે જણાવ્યું કે, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને કોઈપણ વ્યકિતની પ્રાઇવેટ લાઇફમાં સવાલ ઉભો કરવાનો હક્ક નથી. તેમના અંગત જીવનમાં લોકોને જેવું કરવું હોય તેવું કરવાની છૂટ હોવી જ જોઈએ. આ સીડી હકીકતમાં ભાજપની નિરાશા દર્શાવે છે.
હાર્દિકના જૂના સાથીદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અંગે તેણે કહ્યું કે, જેમને પણ જવું છે તે ભલે જાય. અમારું આંદોલન ખૂબ મોટું છે અને લોકો મારી સાથે છે. હાર્દિકે ભાજપની કારમી હાર થશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.