કોંગ્રેસમાં જોડાવા બદલ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ શું કહ્યું, જાણો વિગતે
ઊનાકાંડના પીડિત યુવાનોને સરકારી નોકરી અને પાંચ એકર જમીન, બીપીએલ કાર્ડ, તમામ જિલ્લામાં એટ્રોસિટી એક્ટના ગુનાઓ ચાલે તેવી સ્પેશિયલ કોર્ટ, દલિતોને જમીનોની ફાળવણી, ગટરમાં સફાઈ કરતા સમયે મૃત્યુ પામેલા કામદારોને આર્થિક સહાય ચૂકવાય, રિઝર્વેશન એક્ટ, બેરોજગાર યુવાનોને બેકલોગની જગ્યામાં ભરતી, ઘરવિહોણાને આવાસ, આંદોલનકારીઓ સામે પોલીસ કેસ પરત ખેંચવા, કેન્દ્ર સરકાર દ્વારા મેઇડ ઇન ઇન્ડિયા અંતર્ગત રાજ્યના 50 હજાર દલિત યુવાનોને સ્ટાર્ટઅપ આપે, ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે.
આ સાથે દલિત સમાજની 17 માગણીઓ જે પક્ષ સ્વીકારશે તે જ પક્ષને દલિતોના મત મળશે. ઉલ્લેખનીય છે કે થાનગઢમાં થયેલા પોલીસ ગોળીબારમાં 3 દલિત યુવાનના મૃત્યુને 5 વર્ષનો સમય વીતી ગયો છે છતાં પીડિત પરિવારો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. બીજી બાજુ ઊના કાંડની તપાસમાં પણ હજી અધ્ધરતાલ છે. જેને કારણે રાજ્યમાં સરકાર પ્રત્યેનો દલિતોનો ગુસ્સો વધી રહ્યો છે.
કોંગ્રેસમાં રાહુલ ગાંધીની મુલાકાત અંગે મેવાણીએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નથી મળ્યો. હું દલિત સમાજના કાર્યક્રમ માટે દિલ્હી ગયો હતો. આવનારા સમયમાં ભાજપ-કોંગ્રેસ કોઇ પણ પક્ષમાં નહીં જોડાઉં. જ્યારે અમુક દિવસથી કોંગ્રેસમાં જોડાવા માટે એસસીએસટી સેલના અધ્યક્ષ દળવીના ફોન આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ દલિતો પ્રત્યેનું પોતાનું સ્ટેન્ડ નક્કી કરે.
જેથી ભાજપ પક્ષને દલિતોના મતનું કોઇ મૂલ્ય ન હોવાનું મેવાણીએ આક્ષેપ કર્યો હતો. જે પક્ષ દલિત સમાજની 17 જેટલી માંગણી સ્વીકારશે તે પક્ષને દલિતો મત આપશે. મેવાણીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર જાડી ચામડીની છે. 22 વર્ષથી સત્તામાં રહેતા ઘમંડ આવી ગયું છે. દલિત સમાજ દ્વારા અનેક વખત આવેદનપત્ર અને રેલીઓ યોજી છે તેમ છતાં એક વખત મંત્રણા કરવા બોલાવ્યા નથી.
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીએ જોર પકડ્યું છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા બાદ ઘણાં સમયથી થતી અટકળો પર જિજ્ઞેશ મેવાણીએ પૂર્ણવિરામ મૂકીને જણાવ્યું હતું કે હું આવનારા સમયમાં કોઈ પણ પક્ષમાં નહીં જોડાઉં. જ્યારે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારે પાટીદાર આંદોલન સહિત તમામ આંદોલનકારીઓ સાથે બંધ બારણે અને ખુલ્લું આમંત્રણ આપીને આંદોલનો પૂર્ણ કરવાની વાટાઘાટો કરી છે. પરંતુ દલિત સમાજના પ્રશ્નો બાબતે સરકારે એક વખત પણ ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું નથી.