અમદાવાદ સહિત ગુજરાતમાં માવઠું: ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ અદ્ધર
અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણને પગલે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગુજરાતના વાતાવરણમાં સોમવારે અચાનક પલટો આવ્યા બાદ બપોરે ગાંધીનગર સહિત રાજ્યના કેટલાંક ભાગોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાદળછાયા વાતાવરણને લીધે બે દિવસ સુધી સામાન્ય ઠંડીનો અહેસાસ રહેશે.
7મી ફેબ્રુઆરી સુધી વાદળછાયી સ્થિતિ યથાવત રહેવા સહિત 10મી સુધી તેની અસરો વર્તાવાની સંભાવનાઓ વચ્ચે પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર-પૂર્વિ ગુજરાતમાં વરસાદી ઝરમર કે અમીછાંટણાની સંભાવના છે.
આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ યથાવત્ રહેવા ઉપરાંત દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં વૃષ્ટિના અમીછાંટણા થવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાદળોના કારણે રાત્રિનું ઉષ્ણતામાન ઊંચકાયું હોવા ઉપરાંત દિવસનો પારો ગગડતા રાત્રિ દરમિયાન ઠંડીથી આંશિક રાહત થઈ છે.
માવઠાંને લઈને શાકભાજી, જીરુ, વરિયાળી, ચણા અને ઘઉંના પાકને નુકશાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હોવાના પણ અહેવાલ મળ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી વાતાવારણમાં ઠંડી અને ગરમીમાં વધઘટ બાદ બે દિવસથી ગરમી વધી હતી ત્યારે સોમવારે અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં અચાનક જ વાદળછાયું વાતાવરણ સર્જાવા સાથે કમોસમી વરસાદ નોંધાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.
પંજાબ અને આસપાસના વિસ્તારો ઉપર સાયક્લોનિક સરક્યુલેશનને લઈને વેસ્ટનર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ સર્જાઈ ગયા બાદ આની સીધી અસર જોવા મળી હતી.
અમદાવાદ: રાજસ્થાનમાં સક્રિય થયેલ સરક્યુલેશન સિસ્ટમને પગલે ગુજરાતમાં માવઠાની સ્થિતિ સર્જાતાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અન સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેને લઈને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.