વલસાડઃ પત્નીની ગેરહાજરીમાં પ્રેમિકા સાથે કરતો હતો રંગરેલિયા, પ્રેમિકાના પતિને જાણ થઈ જતાં શું આવ્યો અંજામ?

સોમવારે સવારે યુવકની હત્યા કરેલી લાશ પોલીસને મળી આવી હતી. તપાસ કરતાં પોલીસને લાશ પાસેથી મહિલાનું પર્સ મળી આવતાં પોલીસે તે દિશામાં તપાસ કરતાં સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાઇ ગયો હતો. લાશની તલાસી લેતા પેન્ટના ખિસ્સામાંથી પર્સ મળી આવ્યું હતું, જેમાં ઓળખના પુરાવા હતા. મૃતકની ઓળખ રાજેશ બબન સાવલે (ઉ.વ.45) તરીકે થઈ હતી. જોકે, મહિલા પર્સ જોઇ પોલીસ ચોંકી ઉઠી હતી.
રમીલાના લગ્ન મહારાષ્ટ્ર ઘિમશા ખાતે થયા હતા. જોકે, રમીલા વધુ પિયર માલખેતમાં રહેતી હતી. ગત રવિવારે રાજેશે ઘરે ફોન કરી કંપનીના કામ માટે મુંબઈ જવાનું છે તેમ કહ્યું હતું. જોકે, રાજેશ મુંબઈનું બહાનું બનાવી માલખેત ખાતે રમીલાને મળવા ગયો હતો. ત્યાર બાદ ઘરે પરત ફરતો હતો ત્યારે બે બાઇક પર આવેલા છ લોકોએ તેની હત્યા કરી નાંખી હતી. આ અંગે પોલીસ મથકે મૃતકની પત્નીએ ફરિયાદ કરી છે.
વલસાડઃ ઉમરગામના મમકવાડા ગામે પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવક પરણીત પ્રેમિકાને ભાગી રહ્યો હતો, ત્યારે પરિણીતાનો પતિ બે બાઇક સાથે માણસો લઈ આવી પહોંચ્યો હતો અને પત્નીની નજર સામે જ તેના પ્રેમીની હત્યા કરીને લાશ મમકવાડાના સરકારી અનાજની દુકાન પાસે આવેલા ઘાસના મેદાનમાં ફેંકી દીધી હતી.
મૃતકની પત્ની રોહિણી સાવલેએ પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે દસ મહિના પહેલા રાજેશ અને તેની સાથે કામ કરતી માલખેતની રમીલા જુગભાઈ બારાત વચ્ચે પ્રેમસંબંધ હોવાની તેને જાણ થઈ હતી. જેને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. રાજેશ રમીલાના ઘરે અવાર-નવાર જતો હતો. એટલું જ નહીં, રોહિણીની ગેરહાજરીમાં રમીલા પણ તેમના ઘરે આવતી હોવાનું રોહિણીએ ફરિયાદમાં જણાવ્યું છે.
મૃતક રાજેશ બબન સાવલે મૂળ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ડેરેવાડી, સંગમનેરનો છે. તેમજ હાલ ઉમરગામના સોળસુંબા ફાટક બહાર સ્વપ્ન લોક સોસાયટી, સુખસાગર-ઈ ૨૦૨માં પત્ની રોહિણી, દીકરો અને દીકરી સાથે રહેતો હતો. તેમજ ઉમરગામ જીઆઇડીસીની અનુરિટા એન્ટરપ્રાઇઝ કંપનીમાં મેન્ટેન્સ ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. જ્યાં રમીલા પણ કામ કરે છે.
આ ઘટનામાં એવી વિગતો પણ સામે આવી છે કે, રવિવારે રાત્રે માલખેતથી આ પ્રેમી યુગલ ભાગી રહ્યું હતું. જોકે, વરસાદ પડતા મમકવાડના એક ઝૂંપડામાં તેઓ ઊભા રહ્યા હતા. દરમિયાન પ્રેમિકાના પતિ સહિત છ લોકો આવ્યા હતા અને રાજેશની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.