મા અંબાજીને બલિ ચઢાવવા યુવકે પોતાના જ ગળા પર ફેરવી દીધું ચાકુ, જાણો પછી શું થયું?
મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર ગામના પારસ ઓમ પ્રકાશ પરિહાર શુક્રવારે સવારે અમદાવાદથી અંબાજી દર્શનાર્થે આવ્યો હતો. આ પછી 11 વાગ્યે માતાજીના દર્શન પછી તેણે પોતાની બલિ ચઢાવવાનો પ્રયાસ કરતાં હોહા મચી ગઈ હતી. લોહીલુહાણ યાત્રિકને જોઇ ફરજ ઉપર તૈનાત જીઆઇએસએફ મંદિર ગાર્ડ સહિત પોલીસ જવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અંબાજી કોટેઝમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
અંબાજી: ઉત્તરપ્રદેશના યુવકે ગઈ કાલે શુક્રવારે સવારે ગબ્બર પર્વત ઉપર મા અંબાને પોતાની બલિ ચઢાવવાનો પ્રયાસ કરતાં દોડભાગ મચી ગઇ હતી. યુવકે મા અંબાના દર્શન કર્યા હતા અને શ્રીફળ ચડાવી ગબ્બર ઉતરતાં પગથિયાં પાસે શ્રીફળ વધેરવાના સ્થાન નજીક પોતાના પર્સમાંથી છરી કાઢી હતી અને એકાએક પોતાના ગળાના ભાગે ફેરવી દિધી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને 108થી અંબાજી અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે બલિ આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પારસે બલિ અંગે જણાવ્યું હતું કે, પોતાની મનોકામના શું છે, તે માતાજી જાણે છે. આ પછી તેણે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. પારસ 6 મહિના પહેલાં ગુજરાત આવ્યો હતો. જે અમદાવાદ મેમનગરમાં વોચમેન તરીકે કામ કરે છે. પરિવારમાં 5 ભાઇ અને 2 બહેનો છે. જેમાં પારસ ત્રીજા નંબરનો ભાઇ છે અને અપરિણીત છે. પારસનો ભાઇ પણ અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં વોચમેન છે. તે પણ હજુ લગ્ન થયા નથી. પિતા હયાત નથી.