ગીરગઢડા-ઉનામાં મેઘતાંડવ: 20 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, આખે આખા ગામ પાણીમાં ગરકાવ
ઉનાના વાસોજ ગામમાં જોરદાર વરસાદ પડતાં આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ભારે વરસાદના કારણે આખા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહના કારણે ગામ બે ભાગમાં વહેંચાયું હતું.
છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ગીરગઢડામાં 20 ઈંચ, ઉનામાં 18 ઈંચ, કોડીનારમાં 15 ઈંચ, જાફરાબાદમાં 12 ઈંચ, સુત્રાપાડામાં 11 ઈંચ, અને રાજકોટમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર જગ્યા પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે તો ગીરગઢડા, ઉના સહિતના વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
મેઘરાજાએ ઉના અને ગીરગઢડાને સોમવારે રિતસરને ધમરોળી નાખ્યું હતું. 12 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર ગીરગઢડામાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જ્યારે સ્ટેટ હાઈ-વે સહિત અને રસ્તા બંધ થઈ ગયા હતા. ગામડાં સંપર્ક વિહોણા થયા હતા તો કેટલાક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી અનેક લોકોને બચાવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં ઉનાના ખાપટ ગામમાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે આખું ગામ સંપર્કવિહોણું બન્યું છે.
ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. આખા ગામમાં 5 ફૂટથી પણ વધુ પાણી જોવા મળ્યું હતું. ગામમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.
સોમવાર સવારથી આજ સવાર સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધુ મહેર થતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. અષાઢ મહિનામાં આકાશી તાંડવથી ગીરગઢડા 20, ઉનામાં 18 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે કોડીનારમાં 15 ઈંચ અને સુત્રાપાડા-જાફરાબાદમાં 11, વેરાવળમાં-8, રાજકોટ-8, રાજુલા-તળાજામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગીર-સોમનાથ: સૌરાષ્ટ્રમાં ચોમાસું જમાવટ કરતું જોવા મળી રહ્યું છે અને દરરોજ ભારેથી અતિભારે વરસાદ વરસે છે. વરસાદી પાણીના કારણે ડેમ, ચેકડેમ, નદી, નાળા છલકાઇ ગયા છે અને અનેક જગ્યાએ ઘોડાપુર આવતા વરસાદી કહેર થયો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.