ઇડરમાં હાર્દિકનો શંખનાદ, કહ્યું- 'હવે પાછા પડીએ તો માની આંતરડી દુભાય,સમાજના જયચંદો-અમીચંદોથી ચેતજો'
ઇડરના સદાતપુરા ખાતે યોજાયેલી સભા અગાઉ હાર્દિકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાઇક રેલી સાથે હાર્દિક પટેલનો કાફલો સભાસ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં પાટીદાર યુવાનો દ્વારા ગુલાબનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
બાદમાં સાબરકાંઠાના પાસના કન્વીનર રવિ પટેલે પણ સભાને સંબોધી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે સભાને સંબોધતા ઈડરના ધારાસભ્ય અને તેમના અંગત પાટીદાર અગ્રણીઓ પર પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલે ઇડર પંથકની જનતાને શત શત પ્રણામ કહીને ભાષણની શરૂઆત કરી હતી.
હિંમતનગરઃ પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે ઇડરના મોહનપુરામાં રવિવારે શંખનાદ સભા યોજી હતી. આ સભામાં પાંચ હજારથી પણ વધુ પાટીદારો એકઠા થયા હતા. લોકોને સંબોધતા હાર્દિક પટેલે કહ્યું હતુ કે, આંદોલનમાં હવે પાછા પડીએ તો માતા ની આંતરડી દુભાય તથા આપણામાં જ જયચંદો અને અમીચંદો હશે તો અંદોલન સફળ નહિ થાય માટે તમામ સમાજના પાટીદારોએ એકસંપ થાય તે સમયની માંગ છે.
વધુમાં હાર્દિકે જણાવ્યું કે, અત્યાર સુધીની સરકારોને પાટીદાર સમાજે ફાઈવ સ્ટાર, પર્ક , ડેરી મિલ્ક આપી પરંતુ પાટીદાર સમાજે જ્યારે અનામતરૂપી પચ્ચીસ પૈસાની પારલે માંગી તો નકારી રહ્યા છે.
પાટીદાર નેતાએ કહ્યું કે, પુત્રને જન્મ આપતી માતાને ઘણી અપેક્ષાઓ હોય છે. હવે જો પાછા પડીએ તો માતાની લાગણી પણ દુભાય, વિજય માલ્યા જેવા દારૂનો વેપાર કરનારાનું દેવું માફ થતું હોય તો પાટીદાર સમાજ તો ખેડૂત છે. યુપીમાં જાહેરાત કરી તો મારે પૂછવું છે કે, શું ગુજરાત લાહોરમાં છે?
અનામત અંદોલનથી જે પાટીદાર વિમુખ થશે તેનો લેબોરેટરી પરીક્ષણ કરાવજો તે બીજેપીનો જ નીકળશે. બજાજ સ્કુટર લઈને ફરતા હતા તે અત્યારે મર્સિડીઝ લઈને ફરતા થઇ ગયા છે. તેમણે પોતાનો જ વિકાસ કર્યો છે સમાજ માટે કંઈ કર્યું નથી.
હાર્દિકે જણાવ્યું હતું કે, મારે રાજકારણ કરવું હોત તો હું વિરમગામમાં કર્યું હોત. આ લડાઈ અલગ પ્રકારની છે. પાંચ વર્ષ પછી પાટીદાર પરિવાર પાસે એક-બે વીઘા જમીન પણ નહિ હોય. ચૂંટણી સમયે પાટીદાર સમાજ વોટ પણ આપે અને નોટ પણ આપે છે. પોતાના પૈસાનું પેટ્રોલ બાળી બાઈક લઇ દોડધામ કરે છે છતાં સવર્ણનો સિક્કો મારી પાટીદાર સમાજની વ્યાજબી માંગણીને નજર અંદાજ કરવામાં આવી રહી છે.