નરેન્દ્ર મોદી મે મહિનામાં ફરી ગુજરાત આવશે, જાણો શું છે કાર્યક્રમ અને ક્યારે આપશે હાજરી?
આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કનો કાર્યક્રમ 22 થી 26 મે દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાવાનો છે. આફ્રિકન દેશોના રાજદૂતો, રાજદ્વારીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્ર્મ યોજાશે. નરેન્દ્ર મોદી 22 મેથી 26 મેના આ કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે 22 મેના રોજ ગાંધીનગર આવે તેવી શક્યતા છે.
ભાજપ તથા ગુજરાત સરકારનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મે મહિનામાં ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું આયોજન કરાયું છે. મોદી ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાનારા આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના કાર્યક્રમાં હાજરી આપશે અને આફ્રિકન દેશોના પ્રતિનિધીમંડળોને મળશે.
અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. મોદી બે મહિના પછી એટલે કે મે મહિનામાં ફરી ગુજરાતના મહેમાન બનશે અને ગાંધીનગરમાં યોજાનારા એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં હાજરી આપશે. મોદી આ ઉપરાંત બીજા કેટલાક કાર્યક્રમોમાં પણ હાજર રહશે.
નરેન્દ્ર મોદીના કાર્યક્રમને હજુ અંતિમ સ્વરૂપ નથી અપાયું પણ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. આ પ્રવાસમાં ગાંધીનગરના કાર્યક્રમ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં તેમની જાહેર સભાઓનું આયોજન કરાશે. મોદીના કાર્યક્રમને આ મહિને જ અંતિમ સ્વરૂપ આપી દેવાશે.
નરેન્દ્ર મોદી છેલ્લે વિશ્વ મહિલા દિને ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. મોદીએ તેમની બે દિવસની યાત્રા દરમિયાન 7 માર્ચે ભરૂચમા નર્મદા નદી પરના કેબલ સ્ટેઈડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું અને દહેજમાં ઓપેલ પ્લાન્ટ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. 8 માર્ચે વિશ્વ મહિલા દિને મહિલા સરપંચોના સન્માનના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
મોદીની મુલાકાત દરમિયાન ભાજપના ગુજરાતના આગેવાનો સાથે રાજકીય ચર્ચાઓની પણ શક્યતા છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને અનુલક્ષીને મોદી ભાજપના નેતાઓને માર્ગદર્શન આપશે. મોદીની મુલાકાત સાથે ભાજપ તેના ચૂંટણી અભિયાનને વેગ આપશે એવું મનાય છે.