PM મોદીએ કર્યું 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું લોકાર્પણ, કહ્યું- રાજા રજવાડાઓ માટે વર્ચ્યુઅલ મ્યુઝિયમ તૈયાર થાય
અખંડ ભારત માટે રાજા-રજવાડાઓના ત્યાગ અંગે જણાવતા મોદીએ કહ્યું હતું કે, મારી ઈચ્છા છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટિના સ્થળે જ દેશ માટે રાજ છોડનારા રાજા-રજવાડાઓનું એક વર્ચ્યુઅલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવે. કારણ કે આપણે તેમના ત્યાગ અને બલિદાનને ભૂલવા નથી માંગતા. સામાન્ય તાલુકાના એક સભ્યને પણ પદ છોડવું મુશ્કેલ લાગતું હોય તો આ લોકોએ તો શાસન છોડી બધું દેશને અર્પણ કરી દીધુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેચ્યૂ ઓફ યુનિટીના 153 મીટરે ગેલેરી તૈયાર કરવામાં આવી છે જ્યાંથી 200 પ્રવાસીઓ એકસાથે નર્મદા ડેમનો નજારો જોઇ શકે છે. જેના માટે 4 હાઇસ્પિડ લિફ્ટ પણ મુકવામાં આવી છે. જે માત્ર 30 સેકન્ડમાં સરદાર પટેલના હાર્ટ સુધી પહોંચાડી દેશે.
કેવડિયા કોલોનીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું. આજે સવારે કેવડિયો કોલોની પહોંચ્યા બાદ મોદીએ વેલી ઓફ ફ્લાવર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેમણે ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અનેક મહાનુભાવો સ્ટેજ પર ઉપસ્થિત હતા.
વેલી ઓફ ફ્લાવર્સમાં પીળો-લાલ ગરમાળો, ચંપો,ખાખરો,પોંગારો,ગલતારો,ટેકોમા,બોગનવેલિયા,નેરિયમ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્વોલિસીસ,વડેલીયા,આલામન્ડા કેથટીકા અને વાસની વેલોનુ ય વાવેતર કરવામાં આવ્યુ છે. ઘાસની રંગીન પ્રજાતિ ફ્લાવર્સ ઓફ વેલીને વધુ સુંદરતા બક્ષશે. ગલગોટા,કેન્ડુલા,સૂર્યમુખી અને વિન્કા જેવા રંગીન ફુલોના અંદાજે 100 જેટલી પ્રજાતિના ફુલો અંહી પ્રવાસીઓને જોવાનો લ્હાવો મળશે. જે બાદ પીએમ મોદીએ ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી. ટેન્ટ સિટીમાં 53 જેટલા એ.સી તથા 200 જેટલા નોન એ.સી, ડીલક્ષ, સુપર ડીલક્ષ કેટેગરીના ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
વિશ્વની સૌથી ઊંચી આ પ્રતિમા ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમ પર બની છે. 182 મીટર ઊંચી પ્રતિમાને તૈયાર થવામાં 5 વર્ષનો સમય લાગ્યો છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 31 ઓક્ટોબર, 2013માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આધારશિલા રાખી હતી. આ પ્રતિમા બનાવવા માટે દેશભરમાંથી લોખંડ એકત્ર કરવા અભિયાન ચલાવવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' બનાવવાનો ખર્ચ આશરે 3000 કરોડ રૂપિયા છે.
લોકાર્પણ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત પીએમ મોદીએ સરદાર પટેલ પર બ્લોગ પણ લખ્યો હતો. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘દેશને એકતાના સૂત્રમાં બાંધનારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતી પર કોટિ કોટિ વંદન.’
મોદીએ ભાષણની શરૂઆત 'સરદાર પટેલ અમર રહે,' 'દેશની એકતા ઝિંદાબાદ'ના નારા સાથે કરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે, આજનો આ દિવસ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે. જેને મીટાવી શકવો મુશ્કેલ છે. ધરતીથી લઈને આસમાન સુધી સરદાર સાહેબનો અભિષેક થઈ રહ્યો છે. ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે એટલું જ નહીં ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે આ વિચાર આવ્યો હતો ત્યારે મને માલુમ ન હતું કે વડાપ્રધાન તરીકે મને જ આ પ્રતિમાનું અનાવરણ કરવાનો મોકો મળશે. હું ધન્ય થયો છું. ગુજરાતે મને જે અભિનંદન પત્ર આપ્યો છે તેના માટે પણ હું ગુજરાતની જનતાનો ખૂબ આભારી છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -