દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત, ઔરંગા નદી બની ગાંડીતૂર
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર થઇ હતી. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રના જામનગર અને ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તે સિવાય નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સુરતના પાંડેસરા, કતારગામ, ડભોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઔરંગા નદી હાલ ભયજનક સપાટીથી ઉપર વહી છે. જેને પગલે NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં 8 ઈંચ, વલસાડમાં 4.5 ઈંચ, પારડીમાં 3 ઈંચ, કપરાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
છોટા ઉદેપુર જિલ્લામાં મેઘરાજા હાલ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.જેના કારણે હાલ ઓરસંગ નદીમાં ફરી પૂર આવ્યા હતા. કલેક્ટરે તમામ મામલતદારોને એલર્ટ રહેવાની સૂચના આપી હતી. ઉપરાંત વલસાડમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે હાલ નિચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે.
વડોદરામાં શરૂઆતી વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદે મનપાના પ્રિ મોન્સૂન પ્લાનના દાવાઓ પોકળ સાબિત કર્યા હતા. નવસારીના ગણદેવી તાલુકામાં આવેલી વેંગણિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કલિયારી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. વેંગણિયા નદીમાં પૂર આવતા 200થી વધુ લોકો પ્રભાવિત થયા હતા.
વલસાડના કાશ્મીરા નગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયુ હતું. વેરાવળ અને સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.