ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોનું કપાઇ શકે છે પત્તુ ? જાણો વિગત
હાલની રાજ્યસભાની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકના સભ્યો કેન્દ્રમાં પ્રધાન છે. તેથી આગામી ચૂંટણીમાં ભાજપે આ ત્રણમાંથી એક પ્રધાનને પડતા મૂકવા અથવા અન્ય રાજ્યમાંથી ચૂંટણી લડાવવી પડે તેવી સ્થિતિ છે.
અમદાવાદઃ 23 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી જતાં ચારેય બેઠકો મળવી શક્ય નથી. ભાજપની વર્તમાન સંખ્યાબળને આધારે બે બેઠકો જ જીતી શકે તેમ છે.
સૂત્રોના કહેવા મુજબ શંકર વેગડનું પત્તુ કપાશે તે પણ નક્કી છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું પત્તુ કપાવાની શક્યતા છે. આ ઉપરાંત એક અટકળ પ્રમાણે ભાજપ જેટલીને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાની ચૂંટણી ઉતારી શકે છે. જો આમ થાય તો માંડવિયા બચી શકે છે.
હાલ ગુજરાતમાંથી અરૂણ જેટલી, પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં મંત્રી છે. જ્યારે શંકર વેગડ માત્ર રાજ્યસભા સાંસદ છે.
આ સંજોગોમાં ક્યા મંત્રીને પડતા મૂકવા અથવા બીજા રાજ્યમાંથી ચૂંટણી લડાવી પ્રધાનપદે ચાલુ રાખવા તેને લઈ ભાજપ હાઇકમાન્ડ માટે કપરી સ્થિતિ ઉભી થઈ છે.
ભાજપ અરૂણ જેટલીને ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ કે મહારાષ્ટ્રમાં મોકલી શકે છે. આ બંને રાજ્યોમાં અનુક્રમે 10 અને 6 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાંથી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા બંને પટેલ નેતા છે. 2019 લોકસભા ચૂંટણીને જોતાં ભાજપ તેમની ટિકિટ કાપવા નહીં માંગે.