જૂનાગઢ: નિવૃત PIએ લમણે ગોળી મારી કર્યો આપઘાત, અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા
જૂનાગઢ-વંથલી હાઈવે પર આવેલા વાડલા ફાટક નજીક નોવેલ્ટી ફર્નિચરનાં શોરૂમ પાસે નિવૃત્ત પીઆઇ કાળુભાઇ અરજણભાઇ ઓડેદરા પોતાના પરિવાર સાથે રહે છે. સવારે 6:30 થી 6:45 વાગ્યાના અરસામાં તેમણે ઘરના બેઠક રૂમમાં સોફા પર બેસી બેઠાં બેઠાં જ પોતાની ખાનગી રીવોલ્વર વડે જમણા લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
નિવૃત્ત પીઆઇ ઓડેદરાએ શા કારણથી અંતિમ પગલું ભરી લીધું તેની વિગતો હજુ પોલીસને સાંપડી નથી. આથી તેનું રહસ્ય હજુ અકબંધ છે. કાળુભાઇ ઓડેદરાને સંતાનમાં એક પુત્ર પાર્થભાઇ અને એક પુત્રી છે.
કાળુભાઇએ વહેલી સવારે ન્હાઇને પૂજા પાઠ કર્યા હતા ત્યાર બાદ તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. તેમની અંતિમયાત્રામાં મહેર સમાજનાં આગેવાનો, જૂનાગઢનાં અનેક આગેવાનો પણ જોડાયા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં માતમ છવાયો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ વંથલીનાં પીએસઆઇ બી. એસ. જાડેજા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પંચનામું કરી તેમના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલે મોકલી આપ્યો હતો.
ગોળીનો અવાજ થતાં ઘરનાં સભ્યો બેઠક રૂમમાં બાજુ દોડીને આવ્યા હતા. જ્યાં આવીને જોયું તો કાળુભાઈને સોફા પર બેઠાં બેઠાં જ ઢળી પડેલા જોઈ તેમના પુત્ર પાર્થભાઇએ વંથલી પોલીસ સ્ટેશને ફોન કરીને જાણ કરી હતી.
જૂનાગઢ: જૂનાગઢનાં વાડલા ફાટક પાસે રહેતા નિવૃત્ત પીઆઇએ રવિવાર સવારે પોતાને ઘરે લમણામાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. વહેલી સવારે ન્હાઈ, પૂજા પાઠ કરીને સોફા પર બેસી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સમયે પરિવારનાં સભ્યો ઘરમાં જ હતા. અવાજ આવતાં જ તેઓ દોડીને આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.